પૃષ્ઠ:Trishanku.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬ : ત્રિશંકુ
 


'એટલે ?'

'એટલે એમ કે આજની સ્ત્રીઓ પહેલાંના યુગ જેવી નાજુક નથી કે એમને સહેલાઈથી ઊંચકી જવાય.'

'છતાં કવિઓ હજી કવિતાઓ તો સ્ત્રી ઉપર જ લખે છે !'

'હા. એ આનુવંશિક રોગ હજી ચાલ્યા કરે છે ખરો... પણ કહો, તારાદેવી ! કેમ અત્યારે અહીં આવવું થયું ?'

‘તમે ધારો, હું શા માટે આવી હોઈશ?”

‘તમારા હાથમાં પુસ્તક છે એ જોતાં કાંઈ કપરાં અંગ્રેજી વાક્યો સમજવા તમે આવ્યાં હશો.'

'અને પુસ્તક મારા હાથમાં ન હોય તો ?'

'પુસ્તક છે છતાં ન હોય એમ કેમ મનાય ?'

'લો. આ મેં પુસ્તક સંતાડી દીધું.... કહો, હું કેમ આવી હોઈશ?'

“કદાચ... સહુના પગારદિને હું કેમ વર્તન રાખતો હોઈશ તે જોઈ લેવા.'

“ના..... ખોટું... જાણું છું કે તમને આજ પગાર ન મળે.'

‘તો... હું યોગીપદને કે ઈશ્વરપદને પામું નહિ ત્યાં સુધી તમારા હૃદયને ઓળખી શકું એમ નથી.'

'સાંભળો. ત્રણ-ચાર દિવસ થઈ ગયા, પણ તમે તમારો સિતાર વગાડતા નથી. હું પૂછવા આવી છું કે એમ કેમ ?'

'સિતારની વાચા બંધ થઈ ગઈ છે.' સહજ હસીને દર્શને કહ્યું.

'વાચા ? સિતારની વાચા ?' તારાએ જરા આશ્ચર્ય દર્શાવ્યું.

'હા, તારાદેવી ! માનવીની માફક વાદ્યોને પણ હૃદય હોય છે, અને વાચા પણ હોય છે,'

'મને બતાવી શકશો ?... પેલો સિતાર લટકે !... ખોળ પણ એને વીંટાળી નથી !..... અને આ તાર પણ તૂટી ગયો છે !' ખીંટીએ લટકાવેલા સિતાર ભણી જોઈને તારાએ કહ્યું.

‘એ જ કહું છું. તાર તૂટે એટલે વાદ્યની વાચા અલોપ થઈ જાય.’ દર્શને કહ્યું.

‘તાર જોડતા કેમ નથી ?'

'જોડવો છે.... જોડીશ...'

'ક્યારે ?'