પૃષ્ઠ:Trishanku.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨ : ત્રિશંકુ
 


‘એ સગવડ થતી હોય તો આપણે મંગળવાર કરવો જ નથી ને '

'કેમ? પરણવું નથી ?'

'ના રે ! એકલા જિવાય તોય બસ છે ! પાછો બેની જવાબદારી ક્યાં હું ઊભી કરું?'

'આજના પુરુષો જ બીકણ બની ગયા છે ને !' કહી સરલા કિશોર તથા દર્શનને લઈ અંદર રસોડામાં લઈ ગઈ. સહુ આનંદપૂર્વક જમ્યાં. તારાના હૃદયમાં કોઈ સંકોચની ભાવના જાગૃત થઈ ચૂકી હતી; દર્શન તરફ એની દોડતી નજર વારંવાર પાછી વાળી લેવી પડતી હતી.

રાત્રિ માનવજાતના મોટા ભાગને પોતાના હૈયામાં સમાવી દે છે. માનવીની અવરજવર અને હલનચલન રાત્રે અટકી પડે છે.

છતાં તારા જાગતી સૂઈ રહી હતી !.... આંખો મીંચીને અને આંખો ખુલ્લી રાખીને ! એની આંખ સામે દર્શન કેમ દેખાયા કરતો હતો ?

સરલા સૂઈ ગઈ હતી. તોય એ જાગતી જ હતી. એની કૅશ-બૉક્સ સદાય ખાલી રહેવા સર્જાઈ હતી ! એ ક્યારે ભરાય અને ક્યારે પોતાના પતિને, પોતાનાં બાળકોને, પોતાના પડોશીઓને એ બને એટલું સુખ આપે ? આજ તો એણે પતિસ્પર્શની બાધા લીધી હતી - તેનું અને પતિનું યૌવન હજી ઝગમગતું હોવા છતાં !

દર્શન એકલો એકલો પોતાની ઓરડીમાં સૂતે સૂતે હસતો હતો. ડિગ્રીધારીને આજની રાત ભૂખ્યાં સૂવાનું જ હતું ! પડોશી આટલાં સારાં કેમ હોય છે ?... અને તારા ? રખે એના તરફ દર્શનનું ચિત્ત આકર્ષાય ! ચાલીની બાહ્યાભ્યંતર મલિનતામાં પ્રેમ ઊપજે જ કેમ ?

કિશોરને સહજ નિદ્રા આવી. પરંતુ નિદ્રા સ્વપ્ન પણ લાવી. શેઠે તેને રજા આપી અને તેને બીજે નોકરી મળતી ન હતી ! આવા ઓથારમાં તે ઝબકી જાગી ગયો.

માત્ર શોભાની રૂપાળી બિલ્લી પૂરી જાગૃત હતી ! દૂધ કે ઉદર ક્યાં મળે એનો વિચાર કરતી એ શોભા પાસે ગૂંચળું વળીને આંખો ચમકાવી રહી હતી !