પૃષ્ઠ:Trishanku.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંગુલિમુદ્રા : ૬૩
 

એટલે હું જાણું.”

‘એવા બીજા પડોશીઓ શોધી કહાડ - કોઈનો નોકર, કોઈનો રસોઇયો, કોઈનો શૉફર અને કોઈનો કારકુન... કાંઈ ને કાંઈ હકીકત મળી જ રહેવાની.'

'પણ એમાંથી કોઈ સારા શેઠને અન્યાય થાય તો ? આપણું પત્ર તો “સચ્ચાઈની રાહ ઉપર...” '

'અરે, સચ્ચાઈ અને રાહ એ બધું ઠીક છે ! અને એક વાત બરાબર સમજી લે.'

'શું, સાહેબ ?'

'બધા જ શેઠિયા સરખા ! એક ને એક એબ તો બીજાને બીજી !.... અને ઘણાને તો, અંહ ! બધી જ એબ ભેગી હોય ! આપણે ક્યાં કોઈનું નામ આપવું છે? એ તો તું જે લખીશ તે એકાદને તો લાગુ પડ્યું જ માનજે.'

‘પણ વખતે આપણે બદનક્ષીમાં ઘસડાઈએ તો ?'

'એની ફિકર તને હોય કે મને ? પત્રકારે બદનક્ષીનો ભય રાખવો જ નહિ ! બદનક્ષીમાં ખેંચાતાં પહેલાં કેટલોયે કાદવ ઊછળવાનો ! અને છેવટે દિલગીરી દર્શાવવી કે માફી માગવી ! એમાં આપણને શરમ શી ? પણ એક વાર જાહેરમાં આબરૂ ગઈ એ ગઈ ! એ પાછી ન આવે ! હા... હા..!' શેઠસાહેબ તંત્રી તરીકે પત્રકારત્વનું ઊંડું શિક્ષણ દર્શનને આપતા હતા અને એની અસરનો વિચાર કરી હસતા પણ હતા. ઘણાય માનવીઓને પોતાની ભાવિ યોજનાનું દર્શન હાસ્ય સુધી ખેંચી જાય છે. સુખલાલને હાસ્યની ટેવ જ પડી ગઈ હતી - પછી કથનમાં કે પ્રસંગમાં હસવા જેવું હોય કે ન હોય !

'પ્રયત્ન કરું છું કાંઈ લખવાનો.' લાંબા શિક્ષણ પછી દર્શને જવાબ આપ્યો.

‘તું તારી મેળે દીધે રાખ, દર્શન ! હું કાપકૂપ કરીશ, જરૂર પડશે તો ! નામ વગર જ હમણાં ગોઠવી કહાડ... અને ધમકી આપજે કે “ધ”થી શરૂ થતું એ નામ બીજા અંકમાં પ્રગટ થશે - જો તેમની ચાલ સુધરશે નહિ તો ! કોઈ ને કોઈ નામધારી નીકળી આવશે.. ધનવંત, ધનસુખ, ધનવંતરી, ધન્નુમલ, ધીરજ...' શેઠે શિક્ષણની કૂંચી સમજાવી.

'હા જી, હું વિચાર કરું છું.' દર્શને સંમતિ દર્શાવી.

'અલ્યા, કોઈને બે ગાળ દેવી એમાં વિચાર શો કરવાનો ? તું સમજી ગયો ને કે આ પચીસ રૂપિયાનો વધારો તને કેમ કરી આપ્યો છે તે ? ફુરસાદે