પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૮૬ : તુલસી-ક્યારો


'એને બાપડાને પાપ કાં કહો ભૈ ? જ્ઞાની થઇને કાં ગોથું ખાવ છો બહિ ?'

'પૂછું છું કે 'બાપ' કોને કહેશે ભાભી ?' વીરસુતના દાંત કચડાટી બોલાવતા હતા.

'તમે તમારે ન કહેવા દેજો ભૈ ! અમે ય નહિ શીખવીએ. પણ એક વાત પૂછું ભૈ ? ખિજાશો નહિ ને બાપા ! પાપનું એવું ફળ અસ્ત્રીને બદલે પુરુષને લાગતું હોત તો ક્યાં મૂકી દેત ? એ તો ભેળું જ ભેળું. બાપજી તો બે જીવને જીવાડી રહ્યા છે કે બીજું કશું ? તમારે ના પોસાય તો ઘરમાં ના લેતા ભૈ ! પણ ભવાડો કર્યે શો લાભ ? તમે જ જગબત્રીશીનો માર ખમી નહિ શકો બાપા ! અમને સર્વેને તો તમારા જ જીવની ચિંતા લાગી છે, એથી જ બાપુ ઢાંકવા લાગી પડ્યા છે.'

થંભાવેલા હીંડોળાને ફરી થોડીવાર કિચુડાટે ચડાવીને વીરસુત વિચારે ચડ્યો. પછી એણે પૂછ્યું, 'કંચન તમને મળી છે ભાભી ?'

'દરરોજ મળતાં - છેલ્લા પંદર દિવસથી.'

'ક્યાં?'

'દવાખાને.'

'તો મને વાત કેમ કહેતાં નથી ?'

'પૂછો ત્યારે કહું ને ભૈ ? વણપૂછી વાત ક્યાંક ન ગમે તો ?'

પછી ભદ્રાએ દેવુને કેવા સંજોગોમાં અકસ્માત થયો ત્યાંથી પ્રારંભ કરીને પૂરી સમજ પાડી. વીરસુતનું હૃદય વિસ્મયના તરંગો પર ડોલી રહ્યું.