પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૧૬ : તુલસી-ક્યારો


'કંઇ નહિ.' ભાસ્કર બે ઘડી વિચારીને બોલ્યો : 'કહેશો નહિ. અને હું જેલમાં પકડાયો ત્યારે એ મને મળવા પણ ન આવી ? બેવકૂફ છે બેવકૂફ !'

'દેવી બનાવવી'તીને ?' ભદ્રા લાલચોળ થઇને બોલી. પણ બોલ્યા પછી પલમાં જ એ સ્તબ્ધ બની. એનું મન બોલ્યું : આટલી છૂટ આ કોની સાથે ? આ બેઆબરૂ, કેદ પકડાએલા, પરસંસારના ભાંગણહાર ભાસ્કર સાથે ?

'હું તો હજુ ય થાક્યો નથી.' ભાસ્કરે ભદ્રાનો ટોણો સમજ્યા વગર કહ્યું: 'હું તો એનું ઘડતર કરતાં કદી ન થાકત. એ તો એ થાકી ગઈ.'

ભદ્રા ત્યાંથી ઊભી થઇ ગઇ એટલે ભાસ્કરે કહ્યું : 'હા, હવે તો તમે સુખેથી જાઓ. હમણાં વીરમગામ આવી પહોંચશે. આપણી બેઉની ગાડીઓ પણ જુદી પડશે. વીરસુતને કહેજો, કે મેં એને મારેલો એનો બદલો લેવા જેવી શરીર-શક્તિ એ જમાવે તો હું ખૂબ ખુશ બનું. એક વાર એ પણ મને મારી મારી લોથ બનાવે એવો દિવસ કાં ન આવે ! હે- હે- હે !' એ હસ્યો.

'એ તો ગયા સમુદ્રપાર.' ભદ્રાના મનમાં બાકી રહેલો શબ્દ હતો 'તારે પ્રતાપે !' ત્યાં તો ભાસ્કર બોલી ઊઠ્યો :-

'તો તો હું સાચો પડીશ. એ શરીર સુધારીને આવશે, ને હું થોડાં વર્ષોને માટે જીવનપાર જાઉં છું. બહાર નીકળીશ ત્યારે મારૂં શરીર વીરસુતની લાતો અને થપાટો ખાવા જેવું ક્ષીણ તો થઇ જ ગયું હશે એમ કહેજો - અરે લખજો વીરસુતને.'

એટલું કહી એણે ફરીથી વિદાયનું વંદન કર્યું. ઝડપભેર ચાલી ગયેલી ભદ્રાએ યમુનાને અનસુને જગાડી બિસ્તર પાગરણ બાંધતે