પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
21
વસુંધરાના વહાલાં-દવલાં
 

શેઠે છેવટે 'ઝાંપડાંના આચાર' એટ્લો બોલ ઉમેરીને ત્યાંથી પાછા વળ્યા.

અને ખીજડા-તળાવડીની પાળે બેઠેલી સમળીઓના કારમા કિળેળાટ સાંભળતે સાંભળતે ડોસાએ પ્રાણ-પંખીને પાંજરામાંથી છૂટું મૂકી દીધું.


4

‘દુનિયાના અણમાનેતા’

મૂએલા ડોસાના મુર્દા પાસે તેજબા બેસી રહી, છીપર અને લઢણિયા પથ્થરની વચ્ચે ઓસડિયા વેલાનાં અરધાં છૂંદાયેલાં પાંદ જાણે કે તેજબાનાં સમદુઃખી સ્વજનો હોયને તેવાં પડ્યાં રહ્યાં, તેજબાનાં બીજાં સાથી તે વખતે તંબુડી પર ટીંગાતાં ત્રાજવડાં ત્રોફવાનાં સોય, કુરડી અને બિયાંનો રંગ હતાં તેજબાને સંસારની અસારતાનો ઉપદેશ આપતા કાગડાઓએ ત્યાં તળાવની પાળે કાગારોળ આદરી. ગીધડાં અને સમળીઓને બુઢ્ઢાના શબની સુગંધ ત્યાં ખેંચી લાવી હતી. એ મૂંગાં પક્ષીઓ જાણે કે તેજબાને ઠપકો દેતાં હતાં: ઘેલી રે ઘેલી, મુર્દાનો મોહ ન રાખીએ. શબોને નવાં વસ્ત્રો અને સુગંધી સુખડને લાકડે તો શણગારે એ લોકો, જેમણે જિંદગીભર પાપકર્મો કરતાં પાછું ન જોયું હોય, એ લોકો જ મોતની બદબોને ઢાંકવા મથે છે. આપણે તો જંગલનાં છોરુ, મોતનું પરમ તત્વજ્ઞાન સમજનારાં, મૃત્યુને ખ્રચાળ ન બનાવીએ, શબ ઠોલીને પણ પેટ ભરી લઈએ. ભલી કુદરતે આપણને તો મૃત્યુને ભક્ષીને પણ જીવન જીવવાની ફિલસૂફી આપી છે. ખસી જા બાઈ, તારે ખાપણનું કે બળતણનું કશું જ ખરચ ન કરવું પડે અને અમારાં ભૂખ્યાં પેટ ભરાય એવો બેવડો લાભ અમે તને કરી આપીએ.

પણ તેજબાની છાતી ચાલી નહિ. શબને ઠેકાણે પાડવાની વેતરણ