પ્રતાપરાય આમાં સંડોયાની વાત કરી; "સોનાનાં ઝાડ ખંખેરવાનો સમો અટાણે છે સા'બ. પછી નહિ હોય; બાકી તો આપની મરજી."
"મરજી તો ભગવાનની કહેવાય, ગાંડા !" એમ કહી ફોજદાર સાહેબે ન્યાયાધીશને એકાંતે બોલાવ્યા. પરિણામે ફુલશંકર વકીલની ભૈરવનાથવાળી મહેફિલ તે દિવસ મુલતવી રહી. અમરચંદ શેઠને તેડવા અસવારે ઘોડો દોડાવ્યો.
બીજા દિવસની અદાલતમાં ગયા પહેલાં ન્યાયાધીશે પોતાની પૂજામાં આ કેસનાં કાગળિયાં પણ ઇષ્ટદેવને થાળમાં ધર્યાં, એમને ટપાલ પણ પૂજામાં ધરવાનો ધાર્મિક નિયમ હતો, અને પોતાને સન્મતિ આપવા ઇષ્ટદેવો પાસે એણે કાકલૂદી કરતાં કરતાં પોતાને બેઉ ગાલે થાપડ મારી કહ્યું : " ઘેલો છું, મા! ગાંડો છું, દાદા ! કાયદાનું જ્ઞાન તો પ્રપંચ છે, સાચી તો છે તમારી પ્રેરણા, પિતરૌ !"
ઇષ્ટદેવતા એમની પૂરી વહારે આવ્યા, મરકીનો રોગ ફેલાવવા માટે મંત્રેલા અડદના પૂતળાનું તહોમતનામું કાયદામાં કોઈ રીતે ટકી શકે તેમ નહોતું, પણ નીચ વર્ણનાં મેલાં લોકો વસ્તી પાસેથી પૈસા કઢાવવાની કરામત રૂપે આ ભયાનક કરામત વાપરે છે એને તો કાયદામાં અપરાધ ઠરાવી શકાય છે.
ન્યાયાધીશે બાઈ તેજલીને પૂછી જોયું: "તારે કાંઈ કહેવું છે?"
તેજબાએ નકારમાં મસ્તક ધુણાવ્યું.
એને અને બીજા શામિલ બનેલા કહેવાતાઓને તેમણે છ છ મહિનાની ટીપ આપી.
બાઈને પહેરેગીરો પાટનગર ઇન્દ્રપુરની જેલમાં લઈ ચાલ્યા ત્યારે એને પૂછવામાં આવ્યું : "તારો છોકરો કેટલી ઉંમરનો છે?"
"મને નથી યાદ."
ન્યાયાધીશે ફોજદારને પૂછ્યું :"તમને કેવડોક લાગે છે ? દેખાવે તો જબ્બર છે."
ફોજદારે અમરચંદ શેઠને પૂછ્યું:
"શેઠ ડાયું માણસ છે. એનું