પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘આમ ને આમ કેટલા દિવસ કાઢશું ?’ લાડકોર પૂછતી હતી.

‘ક૨મમાં માંડ્યા હશે એટલા,’ ઓતમચંદ ફરી ફરીને એક જ ઉત્તર આપ્યા કરતો હતો.

ભૂખ્યે પેટે ઊંઘી ગયેલા પુત્રનું દુઃખ જોઈને આ દંપતી એવાં તો વ્યગ્ર બની ગયાં કે ઓતમચંદ પી૨સેલ ભાણેથી આખરે ઊભો થઈ ગયો. લાડકોરને પણ જમવામાં સ્વાદ ન રહ્યો.

મોડી રાતે ગજર ભાંગી ગયો અને અડોશપડોશમાં બધેય બોલાશ બંધ થઈ ગયો ત્યારે પણ આ ઘરના શયનખંડમાં પતિ-પત્ની વચ્ચે એક ગંભીર પ્રશ્ન પર ગોષ્ઠી ચાલી રહી હતી.

પતિને સાવ હતાશ થયેલો જોઈને લાડકોર હિંમત આપતી હતી: ‘તમે ભાયડાની જાત ઊઠીને આમ ચૂડલાવાળાની જેમ સાવ પોચા કાં થઈ જાવ ? હોય એ તો. મલકમાં આપણા સિવાય બીજા કોઈને વેપારમાં ખોટ નહીં આવતી હોય ? દુનિયા આખીમાં કોઈ દેવાળાં નહીં કાઢતા હોય ? વેપારધંધા કોને કહે ! એ તો તડકાછાંયા છે… કાલ સવારે બટુકનાં નસીબ ઊઘડશે તો પાછાં તરતાં થઈ જશે… એ જ અગાશીવાળી મેડી લુવાણા પાસેથી પાછી લઈ લઈશું… દી આવતો થાશે તો સંધુંય પહેલાંના કરતાં સવાયું સુધરી જાતાં વાર નહીં લાગે.’

ઓતમચંદ તો જાણે કે કશું સાંભળતો જ ન હોય એમ અન્યમનસ્ક બનીને મૂંગો રહ્યો.

પતિની મૂંઝવણ ઓછી કરવા લાડકોરે અચકાતાં અચકાતાં સૂચન કર્યું:

‘તમે એક વાર ઈશ્વરિયે જઈને મારા દકુભાઈને વાત તો કરો—’

સાંભળી ઓતમચંદની આંખનો ડોળો ફરી ગયા. પણ એ રોષ

મારો માનો જણ્યો!
૧૩૧