પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વસનાર મનસુખલાલભાઈની વાત જુદી હતી. આ શહેરી માણસને પોતાની શેઠાઈની શેહમાં તાણવા માટે દકુભાઈને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

દીવાનખાનાની સજાવટમાં દકુભાઈએ જરા પણ કચાશ રાખી નહોતી. બર્મી જીવનનું નાનું સ૨ખું પ્રદર્શન જ આ ઓરડામાં ગોઠવાઈ ગયું હતું. ભીંત ૫૨નાં ચિત્રોમાં બર્મી નિસર્ગદૃશ્યો ને બર્મી રૂપસુંદરીઓ, ભોંયે બિછાવેલ જાજમ-ગાલીચા બર્મી બનાવટનાં; પાનસોપારીની તાસક અને ડબ્બાનું નકશીકામ પણ બર્માનું; કાચના કબાટમાં દેખાતાં કાષ્ઠ-કોતરકામનાં રમકડાંયે બર્મી. આવો જાજરમાન ઝળહળાટ જોઈને કપૂરશેઠ તો અહોભાવથી ડઘાઈ જ ગયા હતા. શહેરમાં વસનાર મનસુખલાલને પણ આ ઝળહળાટથી પ્રભાવિત થતાં વાર ન લાગી.

દકુભાઈ પોતાની વાતચીતમાં પોતે જોયેલાં મોટાં મોટાં શહેરો–રંગૂન, અક્યાબ, પ્રોમ ને હેન્ઝાડા—નાં વર્ણનો કરતા હતા અને દર ત્રીજે વાક્યે ‘અમા૨ા મોલમિન’નો ઉલ્લેખ કરતા હતા. ‘અમારે મોલિમનમાં તો…’ એ એમનો જપતાલ હતો.

મનસુખભાઈ જેવા શહેરી માણસને પણ લાગ્યું કે જસી માટે આવું સુખી ઘર કદાચ કાઠિયાવાડમાં મળવું મુશ્કેલ છે.

અત્યારે શુભ ચોઘડિયું ચાલતું હોવાથી વેવિશાળનો વિધિ ઝટપટ પતાવી નાખવાનું નક્કી થયું હતું અને એની પ્રાથમિક તૈયા૨ીઓ માટે બાલુને બજારમાં મોકલ્યો હતો. મકનજીનો વ્યૂહ એવો હતો કે મહાજનની હાજરીમાં વેવિશાળનો ગોળ ખવાઈ જાય ત્યાં સુધી બાલુને એક યા બીજા બહાના તળે ઘરની બહાર જ રાખવો, જેથી એ ઓટીવાળ છોકરાની અક્કલનું પ્રદર્શન મહેમાનો સમક્ષ થવાનો અવકાશ ન રહે. આ યોજના અનુસાર દકુભાઈએ બાલુને શાકભાજી લાવવાનું તથા લહાણાં-બીડાં માટે સોની નોટના રોકડા રૂપિયા કરાવી લાવવાનું વગેરે કામ સોંપીને ઘરની બહાર કાઢી મૂક્યો હતો.

‘મલકનો ચોરટો’
૧૩૭