પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સ્વમાનનો ઘા હૃદયમાં જ સંઘરીને મૂંગો મૂંગો એ ઊભો થઈ ગયો.

ઘરમાં કોઈને પણ કશી જાણ કર્યા વિના એ ડેલી બહાર નીકળી ગયો.

ઈશ્વરિયા ગામમાં રખે ને કોઈ પોતાને ઓળખી જાય એ ભયે ઓતમચંદ લપાતોછુપાતો ઝડપભેર ઝાંપા બહાર નીકળી ગયો.

ઝાંપામાં જ ખાટલો ઢાળીને બેઠેલા બે પસાયતાઓ આ લઘરવઘર વેશધારી આદમીને કોઈ ડફેર સમજીને એની પાછળ શંકાશીલ નજરે તાકી રહ્યા.

ઈશ્વરિયાની સીમ છાંડી ત્યારે ‘હાશ, છૂટ્યો !’ એવી નિરાંત અનુભવતો ઓતમચંદ વાઘણિયાનો પંથ કાપવા લાગ્યો.

દકુભાઈ દીવાનખાનામાં બેઠા બેઠા તુળજાશંકર ગોરના આગમનની રાહ જોતા હતા ત્યાં જ બહારથી આવી ચડેલાં બે બિલાડાંઓ ઓસરીમાં ‘વવ !વવ !’ ક૨ીને ઝઘડવા લાગ્યાં અને એવી તો ધમાચકડી મચાવી મૂકી કે કશુંક પછડાવાનો ભફાક કરતોકને અવાજ થયો. મહેમાનો માટે બર્મી તાસકમાં સોપારી વાંતરતાં વાંતરતાં દકુભાઈ આ અવાજથી ચોંકી ઊઠ્યા અને રાડ નાખીને પત્નીને પૂછ્યું:

‘એ આ શું પછડાયું ?’

‘મૂવાં મીંદડેમીંદડાં વઢે છે,’ ભજિયાં તળવામાં મશગૂલ બની ગયેલ સમરથે રસોડામાંથી જ જવાબ આપીને પતાવી દીધું.

‘જજમાનની જે કલ્યાણ !' પોતાને જ મુખેથી પોતાના જ નેકી-પોકાર સાથે તુળજાશંક૨ ગોરે છેક ખડકીમાંથી પોતાનું આગમન જાહેર કર્યું.

ગોરદેવતા અંતે આવ્યા ખરા, એમ સમજીને દકુભાઈએ નિરાંત અનુભવી.

તુળજા ગોરે આવીને કહ્યું: ‘ફ૨માવો, શેઠજી !’

'મલકનો ચોરટો’
૧૪૩