પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રોંઢો નમતાં સુધીમાં તો ઓતમચંદે વાઘણિયાનો અરધો પંથ કાપી નાખ્યો.

આખે મારગે એના મનમાં એક જ પ્રશ્ન વારે વારે ઊઠી રહ્યો હતો: ‘હું અહીં આવ્યો જ શા માટે ? મને આવા નૂગરા માણસને ઘેરે મોકલવાની અવળમતિ લાડકોરને સૂઝી જ શી રીતે ?’

ઓતમચંદના નાકમાંથી કઢેલા દૂધની સોડમ દૂર થતાં લાડકોરે પ્રેમપૂર્વક સાથે બંધાવેલો સાથવો એને યાદ આવ્યો.

નદીનું ખળખળિયું આવતાં ઝાડનો છાયો શોધીને ઓતમચંદે સાથવો છોડ્યો. દકુભાઈના દીવાનખાનાના દૃશ્ય પ્રત્યે ફિલસૂફની અદાથી હસતાં હસતાં એ ખળખળિયામાંથી પાણીનો કળશો ભરી આવ્યો ને એમાં ગોળનો ગાંગડો પલાળવા નાખ્યો.

નદીનું આ ખળખળિયું ત્રણ ગામને ત્રિભેટે વહેતું હતું. અહીંથી એક મારગ મેંગણી જતો હતો. ઓતરાદો કેડો ઈશ્વરિયાનો હતો ને દખણાદો વાઘણિયાનો. અત્યારે ચારે દિશાઓ નિર્જન લાગતી હતી. થોડેક દૂરની એક વાડીમાં થોડાંક ઢોર ચરતાં હતાં. મેંગણીના મારગ તરફ નજર જતાં ઓતમચંદને પોતાના વેવાઈઓ યાદ આવી ગયા, નરોત્તમ યાદ આવી ગયો, પોતાને ત્યાં ગૃહલક્ષ્મી બનનારી ચંપા પણ યાદ આવી યાદ ગઈ. પણ પોતાની હાલની મુફલિસ હાલતમાં ચંપા પોતાનું ઘરઆંગણું અજવાળશે ખરી ? આવો એક વિચિત્ર પ્રશ્ન ઓતમચંદે પોતાને મનોમન પૂછ્યો. પણ એના હૃદયમાંથી સંતોષકારક હોંકારો ન સંભળાયો.

કળશામાં ગોળનો ગાંગડો ઓગળી રહ્યો. ઓતમચંદે સાથવાના શેકેલા લોટના ભૂકામાં એ ગળ્યું પાણી રેડ્યું. ઘેઘૂર આંબલીને છાંયડે બેસીને કોળિયો ચોળ્યો.

પણ પહેલો જ કોળિયો હજી તો મોંમાં મૂકવા જાય છે ત્યાં તો પાછળથી કોઈએ આવી એની બોચી પકડી.

જોયું તો પાછળ ઈશ્વરિયાના ઝાંપામાં જોયેલા એ બે દરબારી

૧૪૪
વેળા વેળાની છાંયડી