પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સમજાવટ માટે સામ, દામ, ભેદ, દંડ સર્વ પ્રકારો અજમાવાતા હતા.

‘રૂપિયા ક્યાં દાટ્યા છે એનું એંધાણ આપી દે તો અમે અમારી મેળે ગોતી લઈશું.’

‘તને હેમખેમ જાવા દઈશું.’

‘તારી આબરૂય સચવાઈ જાશે.’

‘ક્યાં દાટ્યા છે, બોલ જોઈએ !’

પ્રશ્નોનો એક અક્ષર સુધ્ધાં સાંભળવાને ઓતમચંદ શક્તિમાન નહોતો. એ તો આંબલીના થડ નજીક ઢગલો થઈને ઢળી પડ્યો હતો.

લાઠીપ્રહારોને અંતે જ્યારે પસાયતાઓને જ સમજાયું કે આમાં તો કાંઈક આંધળે બહેરું કુટાયું છે, ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હતું. ઓતમચંદ જરાય સળવળતો ન હતો.

ગુનેગારને આવો ઢોરમાર મારવા બદલ આપણે પોતે જ કદાચ ગુનેગાર ગણાઈશું, એવો ખ્યાલ આવતાં પસાયતાઓ ઘોડે ચડીને ગુપચુપ ગામભણી વિદાય થઈ ગયા.

‘મલકનો ચોરટો’
૧૪૭