પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘ઠાલાં સહુ ફિકરમાં પડી જાય. એ તો એની મેળે જાણશે કે વજે જોખવા ગયા છે એટલે બેચાર દી વહેલુંમોડું થઈ જાય.’

ઓતમચંદ ઘરનાં માણસોને પણ આ વિચિત્ર ઘટનાની જાણ કરવા માગતો નથી. એ જાણીને બહાર ઓસરીમાં બેઠેલી ચંપાને વધારે કૌતુક થયું. મનસુખમામા કહ્યા કરે છે એ ચો૨ીની વાત સાચી હશે ? દકુશેઠની ઓસરીમાંથી ઓતમચંદ જેઠ સાચે જ કોથળી ચોરી આવ્યા હશે ? પોતે મેંગણીમાં આવી પડ્યા એવી વાત ઘરમાં કોઈને ન કરવાના મારી પાસે સમ ખવરાવ્યા-વહાલામાં વહાલાના સમ ખવરાવ્યા–એની પાછળ શો ભેદ હશે ?

અને ‘વહાલામાં વહાલાના સમ’ શબ્દો યાદ આવતાં ચંપાનાં કલ્પનાચક્ષુ સામે પ્રિયતમ પાત્રની—નરોત્તમની—મૂર્તિ રમી રહી. અત્યારે ક્યાં હશે એ ? કેવી સ્થિતિમાં હશે ? સુખમાં હશે કે દુઃખમાં ? હું એની યાદમાં રાતોની રાતો ઉજાગરા કરીને જીવ બાળ્યા કરું છું, પણ એ મને આવી રીતે યાદ કરતા હશે ખરા ?

ઘેરથી કોઈને જાણ કર્યા વિના છૂપી છૂપી ભોજનથાળ લઈ આવેલી ચંપા અંગે ઓતમચંદ વિચારતો હતો: ‘આવા ગુણ ને આવી ગરવાઈવાળી ગૃહલક્ષ્મી મારું આંગણું ઉજાળશે ? નરોત્તમના ભાગ્યમાં આવી જોગમાયા સમાશે ?’

ભોજન પૂરું થયા પછી હીરબાઈએ ઓતમચંદને કહ્યું:

‘ભાઈ, તમને ફરીથી સારીપટ ખરડ કરી દઉં, એટલે સવાર પડતાં ડિલ હળવું થઈ જાય—’

આટલા ટૂંકા પરિચયમાં હીરબાઈએ આ આગંતુકને ‘ભાઈ’ જેવા આત્મીયતાભર્યા શબ્દ વડે સંબોધવાનું શરૂ કરી દીધું હતું.

‘બેન, તમને તો મેં દાખડામાં નાંખી દીધાં !’ ઓતમચંદે પણ એટલી જ આત્મીયતાથી હીરબાઈને જવાબ આપ્યો.

‘એમાં દાખડો શેનો, ભાઈ ? માણસનું કામ માણસ નહીં કરે તો

વિપદ પડે પણ વણસે નહીં
૧૬૯