પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કારીગરી !… અકલ કામ ન કરે એવી !… એક જુઓ ને બીજી ભૂલો એવી !

‘મારો દકુભાઈ ! હવે એનો આવતો દી થયો એનાં આ એંધાણ… આપણે ઘેરે રિયો હોત તો જિંદગી આખી વાણોતરું ઢરડ્યા કરત બિચારો.’

‘હું તો આટલા દી ઈશ્વરિયાને બદલે જાણે કે પાંચમા દેવલોકમાં પૂગી ગયો હોઉં એવું જ લાગ્યા કરતું હતું,’ ઓતમચંદે દ્વિઅર્થી વાક્ય ઉચ્ચારીને પછી ઉમેર્યું: ‘દેવલોકમાંય દકુભાઈના ઘર જેવાં દોમદોમ સુખસાહ્યબી નહીં હોય.’

‘ક્યાંથી હોય ! દકુભાઈએ તો આટઆટલાં દુઃખ ભોગવ્યાં પછી સુખસાહ્યબી સાંપડ્યાં છે—’

‘પણ દકુભાઈમાં આવતા દીનો જરાય એંકાર નહીં હોં !’ ઓતમચંદે સ્વયંસ્ફુરણાથી જ વણમાગ્યું પ્રમાણપત્ર આપ્યું.

‘એનું નામ માણસ !’ લાડકોરે સમર્થન કર્યું, ‘આંબામાં ને બાવળમાં ફેર એટલો ફે૨. બાવળ હંમેશાં ઊંચો જ રહે. ને આંબાને ફળ આવતાં જાય એમ નીચો નમતો જાય—’

‘એટલે તો કહું છું કે દકુભાઈએ એવી તો સરસ સરભરા કરી કે હું તો બીજું સંધુંય ભૂલી ગયો.’

‘મને સોત ભૂલી ગયા’તા ? લાડકોરે કટાક્ષમાં પૂછ્યું.

આ સાંભળીને ઓતમચંદને પણ હસવું આવ્યું. પ્રૌઢ દંપતીની ચાર આંખો મૂંગી ગોઠડી કરી રહી અને બંનેની નજર પુત્ર ઉપર કેન્દ્રિત થઈ.

‘સંધુંય ભુલાઈ ગયું’તું પણ આ બટુક સાંભર્યો એટલે હું પાછો આવ્યો.’ ઓતમચંદે સમાપન કરતાં કહ્યું, ‘બાકી, દકુભાઈની પરોણાગતથી એવો તો ગળા લગી ધરાઈ રહ્યો છું કે છ મહિના લગી હવે ભૂખ જ નહીં લાગે.’

૧૮૮
વેળા વેળાની છાંયડી