પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘સમજનારાં સમજે છે, પણ તમે તો હવે આ સંસાર ત્યાગી ગયાં — ભવસાગર તરી ગયાં… અમારા સંસારીનાં સંભારણાં તમારે શું કામનાં ?’ કીલાએ લાગણીશીલ સ્વરે કહ્યું.

‘સંસાર તો અમે ત્યાગ્યો—સંજોગને આધીન રહીને, મહાસતી બોલ્યાં. ‘પણ સંભારણાં ભૂલવાં કાંઈ સહેલ છે, કામદાર ?’

‘તમે તો કોઈ હળુક૨મી જીવ છો એટલે મોહમાયાનાં બંધન કાપી શક્યાં ને કરમ ખપાવીને ભવના ફેરામાંથી છૂટી ગયાં—’

‘બધી ક૨મની ગતિ !’ મીઠીબાઈ નિસાસો નાખીને બોલ્યાં, ‘કોને ખબર હતી કે આપણી વચ્ચે આવા વિજોગ સ૨જાશે !’

સાંભળીને કીલાનું હૃદય હલમલી ઊઠ્યું. આ૨જા પ્રત્યેનો પૂજ્યભાવ વ્યક્ત કરવા નીચો નમીને વંદના કરવા લાગ્યો.

‘અરે અરે, કામદાર ! આ શું કરો છો ? વંદના તો મારે તમને કરવી જોઈએ–’ મીઠીબાઈ બોલ્યાં.

‘મને શરમાવો મા, મહાસતીજી !’ કીલાએ કંપતે અવાજે કહ્યું.

અને બંને જણ મૂંગાં થઈ ગયાં. બંનેના સંક્ષુબ્ધ ચિત્તમાં જે તુમુલ વિચારમંથન ચાલી રહ્યું હતું એ એટલું તો નાજુક પ્રકારનું હતું કે એ ચિત્તપ્રવાહો અવ્યક્ત રહે તો જ એનું પાવિત્ર્ય સચવાઈ શકે એમ હતું.

મૌન જ્યારે અસહ્ય લાગ્યું ત્યારે મીઠીબાઈએ પૂછ્યું: ‘આ ભાઈ કોણ છે ?’

‘મારો નવો ભાઈબંધ છે. એનું નામ નરોત્તમ’.

કીલો પોતાના સાથીદાર વિશે વધારે પરિચય આપે એ પહેલાંતો બહારગામથી કેટલાક વધારે ભાવિકો દર્શનાર્થે આવી પહોંચ્યા તેથી બને જણાઓએ મૂંગી વિદાય લીધી.

૨૦૬
વેળા વેળાની છાંયડી