પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




વગડા વચ્ચે
 


અમરગઢ સ્ટેશનને હજી પ્લૅટફૉર્મ નહોતું સાંપડી શક્યું. ખુલ્લા ખેતરમાં રેલવેનો એક જ પાટો પસાર થતો હતો અને બાજુમાં એકઢાળિયા ખોરડા જેવું છાપરું ઊભું કરી દેવાયેલું એને જ સ્ટેશન ગણીને લોકો સંતોષ માનતાં હતાં. આ પંથકમાં દાનવી૨ ગણાતા ઓતમચંદ શેઠે ઉતારુઓની સગવડ સાચવવા ‘બ્રાહ્મણિયા પાણી’ની પરબ બંધાવેલી. એની છાપરીમાં એક મોટીબધી નાંદ ને ત્રણચાર માટલાં પડ્યાં રહેતાં.

માથે મુંડો કરાવેલી એક બ્રાહ્મણ ડોસી ટ્રેનના અવરજવરને સમયે ઉતારુઓને પાણી પાતી.

અમરગઢની આજુબાજુમાં ઉપરવાડિયાં ગામ ઘણાં હોવાથી અને રાતવરતની ગાડીનાં છડિયાંઓને રાતવાસાની બહુ અગવડ પડતી હોવાથી સ્ટેશનથી એકાદ ખેતરવા આઘે પડતર ખરાબામાં ઓતમચંદ શેઠે કૂવો ખોદાવીને પાઘડીપને લાંબી ઓસરી ને થોડાક ઓ૨ડા ઉતારેલા. અલારખા નામના એક મકરાણી પગીને આ ‘ધરમશાળા’ની દેખભાળ સોંપવામાં આવેલી. આ સાર્વજનિક સ્થળે ગરીબગુરબાં, બાવાસાધુ અને અપંગ-અભ્યાગતો તો કાયમના અડિંગા નાખીને પડ્યાં જ રહેતાં અને એવા ખુદાબક્ષોને ખાતર ઓતમચંદ શેઠે તાજેતરમાં રોજની એક ટંક ખીચડીનું સદાવ્રત પણ શરૂ કરેલું.

ઘોડાગાડી હજી તો સ્ટેશનથી આવી હતી ત્યાં જ ઘૂઘરા સાંભળીને સહુના કાન ચમકી ઊઠ્યા. ‘ઓતમચંદ શેઠ આવતા લાગે છે !’

સ્ટેશનનાં પગથિયાં પાસે વશરામે ગાડી થોભાવી કે તરત જ

૨૦
વેળા વેળાની છાંયડી