પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘પછી એણે પૂછ્યું કે પરભુલાલ પરણેલા છે કે કુંવારા?’ એટલે મેં કહ્યું કે, ‘કાચા કુંવારા!’

‘હવે સમજાયું કે વાનિયો આટલા દિવસથી પેઢીનાં પગથિયાં શું કામ ઘસતો હતો તે.’ મંચેરશાએ પૂછ્યું: ‘પછી શું વાત થઈ કીલા?’

‘પછી એણે કહ્યું કે, મારી એક ભાણેજ છે. મેંગણીમાં રહે છે, પરભુલાલ શેઠ કૃપા કરે તો એનું વેશવાળ કરવાનો વિચાર છે.’

‘ફાવી ગયો, એલા નરોત્તમ!’ મંચેરશા આનંદી ઊઠ્યા. ‘દીકરા, તું તો હવે અદરાવાનો!’

કીલાએ કહ્યું: ‘ધીરા ખમો. મંચેરશા, ધીરા ખમો. તમારા આ પરભુલાલ શેઠને એમ સીધેસીધા અદરાવી શકાય એમ નથી–’

‘કેમ ભલા? સીધેસીધો નહીં તો શું આડો આદરાવીશ?’ ઉત્સાહી મંચરશાએ ઉગ્ર અવાજે પૂછ્યું.

કીલાએ શાંત અવાજે છતાં શ્રદ્ધાપૂર્વક જવાબ આપ્યો: ‘હા, કોઇ આડી રીતે જ આ છોકરાને અદરાવવો પડશે, કેમ કે અત્યાર સુધીમાં આ કીલાએ એનું થોડુંક આડું વેતરી નાખ્યું છે.’


પ્રારબ્ધનો પરિહાસ
૩૦૩