પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘શું?… શું!’

ફરી ડોસા અસ્વસ્થ થઈ ગયા. કમ્પતા હોઠ એક-બે વાર ફફડ્યા, પણ એમાંથી વેણ જાણે કે પાછાં વળતાં લાગ્યાં. આખરે નછૂટકે, સઘળું મનોબળ એકઠું કરીને શરમમાં નીચી મૂંડીએ કહ્યું:

‘મોંઘી બેજીવસુ…’

‘ભગવાન! ભગવાન!’ કીલાના હૃદયમાંથી દિલસોજીનો સાહજિક ઉદ્‌ગાર નીકળી ગયો.’

‘કુંવારી દીકરીનો અવતાર રોળાઈ ગયો,’ ડોસા બોલતા હતા.

‘કરમની લીલા—’

‘કપાળમાં કાળી ટીલી જેવું કલંક…’

‘આવ્યું, એ હવે ભોગવવું જ પડે—’

‘મારાં ધોળાંમાં ધૂળ—’

‘સમજું છું, કાકા! પણ આ તો વાએ કમાડ ભિડાઈ ગયાં જેવું થયું છે… … એમાં તમારો શું વાંક?’

‘જાતે જન્મારે મારે એવું નીચાજોણું—’

‘કરમમાં માંડ્યું હશે, એ મિથ્યા કેમ થાય?’

‘કીલાભાઈ, આ તો જાંઘના જખમ જેવું… કહેવાય પણ નહીં ને સહેવાય પણ નહીં—’

‘જાણું છું, કાકા! બરોબર જાણું છું,’ કીલાએ કહ્યું, ‘પણ હવે થયું અણથયું કેમ કરીને થાય? હવે તો સૂઝે એવો કાંઈક ઉપાય કરવો જોઈએ…’

‘ઉપાય?’ જૂઠાકાકાની આંખ ચમકી ઊઠી, ‘આમાં તે શું ઉપાય થાય?’

‘શેઠને વાત કરી જોઈ કે નહીં?’

‘મને જાણ થઈ કે તરત જ—’

‘એ શું કહે છે?’

‘એ તો, પોતે ધરમના થાંભલા થઈને અધરમના ઉપાય બતાવે છે—’

પાંખ વિનાની પારેવડી
૩૪૯