પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘બંગડી ને બાવડા-સાંકળી બેય વાનાં ઘડાવો!’ ઓતમચંદે ગંભીર મુખમુદ્રા ધારણ કરીને કહ્યું, ‘દકુભાઈનો દીકરો પરણતો હોય ને આપણે ઓછાં ઘરેણાં કરાવીએ તો આબરૂ જાય ને!’

અને ફરી ઓતમચંદ મૂછમાં હસતો હસતો કામે વળગ્યો.

હરખઘેલી લાડકોર બાલુના લગ્નપ્રસંગની આગોતરી યોજનાઓમાં વધારે ગુલતાન થઈ ગઈ. આ ઉદારચરિત ભગિની પોતાના ભાઈનો આખો ભૂતકાળ જાણે કે ભૂલી ગઈ હતી. વઢકણી ભોજાઈએ, મકાનમાં વાસ્તુમુહૂર્તને પ્રસંગે નણંદ ઉ૫૨ જે વીતક વિતાવેલાં, એની પણ લાડકોરને જાણે કે વિસ્મૃતિ થઈ ગઈ હતી. દુણાયેલા દકુભાઈએ પત્નીની ભંભેરણીથી અને મુનીમની ચડામણીથી જે અવળચંડાઈ આચરેલી, રંગમાં ભંગ પાડેલો અને આખરે જે ખુટામણે ઓતમચંદની પેઢીને પાયમાલીમાં મૂકી દીધેલી એ બધી જ ઘટનાઓ આ વહાલસોઈ બહેન અત્યારે વીસરી ગઈ હતી. ભાઈભોજાઈ પ્રત્યે લાડકોરના હૃદયમાં નરદમ સ્નેહ ભર્યો હતો. અને એમાં વળી એક ઘટનાએ સ્નેહભાવમાં ઉમેરો કર્યો હતો. હાથભીડના દિવસોમાં એક નાજુક ક્ષણે લાડકોરે પતિને ઈશ્વરિયે મોકલેલો અને દકુભાઈ પાસેથી પાંચ પૈસાની મદદની યાચના કરાવેલી. ઈશ્વરિયાની એ યાદગાર ખેપનો જે બનાવટી અહેવાલ ઓતમચંદે કહી સંભળાવેલો-દકુભાઈએ કરેલી ખાતરબ૨દાસ્ત અને ખાનદાનીની જે વાતો કરેલી, ઉદાર હાથે કરેલી મદદની, અને પછી વાઘણિયે પાછા ફરતા મારગમાં આડોડિયાઓએ સંધુંય લૂંટી લીધાની જે કપોળકલ્પિત કથની રચીત કરેલી - એ બધાંને પરિણામે તો ‘મારા દકુભાઈ’ પ્રત્યેની બહેનની મમતા દ્વિગુણિત થઈ ગઈ હતી.

એ દ્વિગુણિત મમતાથી પ્રેરાઈને જ તો અત્યારે એ ઈશ્વરિયે જવાના અને ભત્રીજાનાં લગનમાં ફઈબા તરીકે મહાલવાના મોટા મોટા મનો૨થ ઘડી રહી હતી ને!

૩૬૦
વેળા વેળાની છાંયડી