પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘આખો કાગળ સરખાઈથી વાંચી સંભળાવો! મુંબઈથી શું સમાચાર લખે છે?’

‘તમે ઈશ્વરિયેથી આવેલા દકુભાઈના કાગળમાં જ ગૂંચવાઈ ગયાં’તાં એટલે મુંબઈનો કાગળ સાંભળવાની નવરાશ જ ક્યાં હતી?’ પતિએ ફરીથી ટોણો માર્યો.

‘મારો તો શભાવ જ વીઘાભૂલો, એમાં હું શું કરું?’ કહીને લાડકોરે દીન વદને વિનંતી કરી: ‘હવે ભલા થઈને કાગળ વાંચો. નરોત્તમભાઈના સમાચાર જાણ્યા વિના મને ઊંઘ નહીં આવે—’

ઓતમચંદને લાગ્યું કે સરલહૃદય પત્નીને હવે વધારે પજવવી યોગ્ય નથી, તેથી એણે કહ્યું: ‘સમાચાર તો સંધાય વેપા૨ના છે.’

‘કેવાંક છે, વેપારપાણી?’

‘સારાં, ઘણાં જ સારાં, ઓતમચંદે કહ્યું, ‘આપણી ધારણા કરતાંય વધારે સારાં—’

‘તમારા મોઢામાં સાકર!’ પત્નીએ પરમ સંતોષથી કહ્યું, ‘નરોત્તમભાઈ અહીંથી શહેરમાં ગયા ત્યારે બરોબર શકન પકવીને જ ગ્યા’તા—’

‘શકન તો કોણ જાણે, પણ જાવા ટાણે મેં એને ગળ્યું મોઢું કરાવ્યું’તું ને−’

‘ને દુખણાં લઈને આઠેઆઠ આંગળાંના ટાચકા ફોડ્યા’તા.’

‘બસ એ જ મોટામાં મોટા શકન,’ પતિએ સઘળો જશ પત્નીને આપતાં કહ્યું, ‘તમારી આશિષ વિના આટલા વેપારવણજ થાત જ નહીં.’

‘કેવોક વેપાર થયો છે? સરખી માંડીને વાત તો કરો!’

‘આમાં લખે છે, કે આપણે આખા પંથકનો કપાસ જોખ્યો’તો ને મંચેરશાએ વિલાયત ચડાવ્યો’તો એના તો સોના કરતાંય મોંઘા ભાવ ઊપજ્યા છે—’

જ્યોત ઝગે
૩૬૩