પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘મંચેરશા સાત ભોંયવાળી મહેલાત ચણાવશે, તો એનો ભાગીદાર કેટલી ભોંયવાળી મેડી બાંધશે?’ સમજુ ગૃહિણીએ સૂચક પ્રશ્ન પૂછ્યો.

‘આપણે કાંઈ મંચેરશા જેટલા માલદાર થોડા છીએ? પેઢીમાં નરોત્તમનો ભાગ તો રૂપિયે ચાર આની જ છે—’

‘તો ચોથા ભાગ જેટલી ઊંચી મેડી ચણાવે… ભલે બે જ માળવાળી બંધાવે,’ લાડકોરે કહ્યું, ‘પણ આવડા મોટા દેશાવરના વેપાર ખેડનારને હવે આપણા આ કૂબા જેવા ઝૂંપડામાં થોડા ઉતારાશે?’

‘મંચે૨શામાં ને આપણામાં આટલો જ ફે૨! ઓતમચંદે કહ્યું. ‘એ રહ્યા પારસી, ને આપણે વાણિયા, સમજ્યાં ને? વાણિયાનો દીકરો નાણાંનો એંકાર ન કરે કે કમાણીનો દેખાવ ન કરે. આપણી રહેણીકરણી તો ચીંથરે વીંટ્યા રતન જેવી કે’વાય—’

‘તમારો શભાવ તો હજીય એવો ને એવો જ રિયો!’ લાડકોરે મીઠો છણકો કર્યો, ‘નાના ભાઈએ ફાંટ ભરીને રૂપિયા ઠાલવ્યા, તોય તમે તો નરમ ઘેંશ જેવા રિયા!’

‘નાણું થાય એમ એમ તો માણસમાં વધારે નરમાઈ આવવી જોઈએ,’ ઓતમચંદે પોતાની ફિલસૂફી સમજાવી. ‘બાવળમાં આંબામાં આટલો જ ફેર: બાવળમાં કાંટા વધે એમ એ ઊંચો ઊંચો વધતો જાય. આંબે મોર બેસે ને લેલૂંબ ફાલ આવે એમ એમ નીચો ને નીચો નમતો જાય…’ આટલું કહ્યા પછી આ ધર્મપરાયણ પાપભીરુ માણસના મોઢામાંથી એના સમસ્ત જીવનના નિચોડ સમું સુવાક્ય સાવ સાહજિકતાથી સરી પડ્યું: ‘નમ્યો માણસ ભગવાનને ગમ્યો.’

‘નમતાં રહેવાની હું ક્યાં ના પાડું છું?’ લાડકોરે કહ્યું, ‘૫ણ રહેવાની નિંજરી તો સારી જોઈએ ને?’

‘આપણે આ રહીએ છીએ એ શું ખોટી છે? ભગવાન રાખે એમ રહેવું જોઈએ—’

૩૬૬
વેળા વેળાની છાંયડી