પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



રંગમાં ભંગ
 


બીજે દિવસે ઓતમચંદને ઘેર વધારે મહેમાનો આવ્યા. ખોબા જેવડું વાઘણિયું ગામ માણસોથી ઊભરાઈ ગયું.

વાસ્તવિધિ સાથે મોટો જમણવાર પણ હતો તેથી ગામ આખામાં એક પ્રકારનું ચેતન ફેલાઈ ગયું. આખા પંથકના વછિયાતી વેપારીઓને ઓતમચંદે આ શુભ પ્રસંગે પોતાને આંગણે નોતર્યા હતા. બજારો અને શેરીઓ બહારગામના માણસોથી ભરચક્ક લાગતી હતી.

ગામલોકોને આ પ્રસંગનું મોટામાં મોટું આકર્ષણ તો અલબત્ત, જમણવારનું જ હતું. ગામમાં ઓતમચંદ જેવા શ્રીમંતો તો આંગળીને વેઢે ગણાય એટલા જ હતા. બાકી ગામની વસ્તી એકંદરે ગરીબ જ હતી. તેથી જ ગરીબગુરબા તથા વસવાયાં સહુ આ મોટે ખોરડે થનાર જમણવારની રાહ જોતાં દાઢ કકડાવીને બેઠાં હતાં. મેડીનું વાસ્તુપૂજન મોટી ધામધૂમથી થવાનું છે એ સમાચાર ફેલાતાં આજુબાજુનાં ઉપરવાડિયાં ગામડાંમાંથી પણ માગણલોક મોટી સંખ્યામાં વાઘણિયામાં આવી પહોચ્યાં હતાં. બીજી રીતે શુષ્ક લાગતાં ગામવાસીઓનાં એકધારા જીવનમાં શ્રીમંતોને ઘે૨ થતાં આવાં જલસા-જયાફતો પણ રસનું સિંચન કરતાં હતાં.

વહેલી સવારથી જ નવી મેડીમાં શરણાઈ-નોબત વાગવા માંડી હતી. દરવાજાની કમાન પર, બારણાની બારસાખે તેમજ ટોડલે આસોપાલવનાં તોરણ ટિંગાતાં હતાં. ગામનો શંભુ ગોર યજ્ઞકુંડની આજુબાજુ વાસ્તુપૂજન માટે પૂજાપાની સામગ્રીઓ ગોઠવી રહ્યો હતો.

ઓતમચંદ પોતાના લગન વખતે સિવડાવેલો રેશમી ડગલો પહેરીને

૩૬
વેળા વેળાની છાંયડી