પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘કોનાં? જસીનાં?’ નરોત્તમે પૂછ્યું.

‘નામ તો કોણ જાણે. પણ ચંપાની નાની બેનનાં લગન છે,’ એમ કહ્યું, મને કહે, ‘પરભુલાલ શેઠને લઈને મેંગણી આવો—’

‘હજી એ માણસે પરભુલાલ શેઠને ઓળખી નથી કાઢ્યા?’ નરોત્તમે પૂછ્યું.

‘એ માણસ એવો તો બુડથલ છે, કે જિંદગી આખી તને ન ઓળખે’ કીલાએ કહ્યું, ‘હવે તારે પરભુલાલ શેઠ તરીકે એના ભેગા મેંગણી જાવાનું—’

‘તમે તો મારું નામ બદલીને ભારે ગોટાળો ઊભો કર્યો!—’

‘મારે એક ગોટાળો ઉકેલવાનો હતો, એટલે બીજો ગોટાળો ઊભો કર્યા વિના છૂટકો જ નહોતો. પગમાંથી કાંટો કાઢવા માટે કાંટો જ કામ આવે. તારો ગોટાળો ઉકેલવામાં આ નવો ગોટાળો કામ આવશે—’

‘પણ આ ૫રભુલાલ શેઠનો વેશ ક્યાં સધી ટકશે?’ નરોત્તમે જરા ગભરાતાં પૂછ્યું.

‘મેંગણીના પાદર સુધી—’

‘પછી? પછી તો ફજેતો જ થાશે ને?’

‘આપણો નહીં, એ લોકોનો.’

‘પણ આપણું આ નાટક ઉંઘાડું પડી જાશે ત્યારે શું કરશું?’

‘આ કીલો સૂત્રધાર બધું સંભાળી લેશે—’

‘મને તો આમાં કંઈ સમજણ નથી પડતી, નરોત્તમે અકળામણ વ્યક્ત કરી. ‘મને તો ભારે મૂંઝવણ થઈ પડશે—’

‘મૂંઝવણ તો થાશે મનસુખભાઈને ખરેખ૨ી!’ કીલાએ કહ્યું, ‘પરભુલાલ શેઠનું આંધળે બહેરું કૂટી માર્યું, એની ઠીકાઠીકની રોનક જામશે!’

‘તમને તો આવી ગંભીર વાતમાંય રોનક જ સૂઝે છે!’

‘મોટા, જિંદગી આખી રોનક છે, જો જીવતાં આવડે તો.’ કીલાએ

૩૮૦
વેળા વેળાની છાંયડી