પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પોતાનું જીવનસૂત્ર સમજાવ્યું, ‘જેને રોનકથી જીવતાં ન આવડે એને પછી જિંદગી આખી રોવાનું જ રહે છે—’

‘પણ તમને રોનક થાશે, ને મારી રેવડી થઈ જાશે, એનું શું?’

‘વાતમાં શું માલ છે?’ કીલાએ ગર્વભેર કહ્યું, ‘આ કીલો બેઠો હોય ત્યાં લગી તારી રેવડી થાય એ વાતમાં શું માલ છે? મોટા, તું મૂંગો મૂંગો જોયા કરજે આ કીલાની કરામત!’

કીલાની આત્મશ્રદ્ધા પ્રત્યે આદર દાખવીને નરોત્તમ થોડી વાર તો મૂંગો રહ્યો. પણ આખરે બોલ્યા વિના ન રહેવાયું: ‘તમે ગમે તેમ કહો, પણ મને તો આમ નાટક ભજવવું ગમતું નથી.’

‘અરે મોટા, નાટક ભજવવાનું તો મનેય નથી ગમતું. પણ શું કરીએ? દુનિયાને સાચું જોવા કરતાં નાટક જોવામાં જ વધારે મઝા આવે છે. એટલે તો, મારે કામદાર મટીને કાંગસીવાળાનો વેશ ભજવવો પડ્યો’તો. ને તારી પાસે મેં નરોત્તમને બદલે ૫રભુલાલ શેઠનો પાઠ ભજવાવ્યો,’ કીલોએ સમજાવ્યું. ‘ને ખૂબી તો એ થઈ કે લોકોને કામદાર કરતાં કાંગસીવાળો વધુ વહાલો લાગતો’તો એમ આ મનસુખભાઈને ને કપૂરશેઠને પણ નરોત્તમને બદલે ૫રભુલાલ મનમાં વસી ગયો — ઓળખ્યા પારખ્યા વિના જ.’ આટલું કહીને એણે વળી એક વ્યવહારોક્તિ કહી સંભળાવી, ‘મોટા, દુનિયાનો રિવાજ છે… સાચાં કરતાં સ્વાંગ વધારે ગમે… વસ્તુ કરતાં વેશ વધારે વહાલો લાગે—’

‘પણ આ ભૂંગળ વિનાની ભવાઈમાં મારો વેશ રંગલા જેવો થઈ જાશે, એનું શું?’

‘રંગલાનો નહીં, મિયાંબીબીનો વેશ થાશે, તું જોજે તો ખરો!’ કીલાએ જાણે કે આગાહી કરતો હોય એ ઢબે નરોત્તમનો વાંસો થાબડીને કહ્યું, ‘આ મિયાં મેંગણી પહોંચે એટલી જ વાર. બીબી તો ત્યાં બેઠાં જ છે. ને મિયાંબીબી બેય જણાં રાજી જ છે તો પછી વચમાં કાજી શું કરવાના છે?’

બંધમોચન
૩૮૧