પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અને સવારના પહોરમાં બનેલા એ અઘટિત બનાવ બદલ લાડકોર વ્યથા અનુભવી રહી. એનું વ્યથિત હૃદય પોતાના વર્તન બદલ થોડી વિમાસણ અનુભવી રહ્યું. આજના મંગલ પ્રસંગે આવો અઘટિત બનાવ ન બન્યો હોત, પોતે ભોજાઈ સમક્ષ જે આકરાં વેણ બોલી નાખ્યાં એ ન બોલાયાં હોત તો સારું હતું એમ લાંબો વિચાર કરતાં લાડકોરને લાગ્યું.

પણ હવે શું થાય ? લાડકોરનાં એ આકરાં વેણ તો પણછમાંથી તીર છૂટે એમ છૂટી ગયાં હતાં. છૂટેલું તીર પાછું ખેંચી શકાય તો જ બોલાયેલાં વેણ પાછાં વાળી શકાય. છૂટેલાં વેણે પણ જે હોનારત સર્જાવાની હતી એ તો સર્જી નાખી હતી, હવે તો એના પ્રત્યાઘાતો જ ભોગવવાના રહ્યા હતા.


૪૦
વેળા વેળાની છાંયડી