પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઘોડાગાડી મંગાવેલી અને લાડકોરે ‘ગાડી તો અમારા બટુક સારુ ધારી છે, તારા સારુ નહીં.’ એમ કહેવડાવ્યું ત્યારે સમરથની માખી છીંકાઈ ગયેલી અને આ ઘોર અપમાન બદલ બરોબર બે મહિના સુધી નણંદ સાથે અબોલા રાખેલા.

આજે સવારમાં પણ સમરથ શેઠાણી આવી જ એક ભિક્ષા કાજે ઓતમચંદને આંગણે આવેલાં. આવતાંવેંત જ એણે લાડકોર સમક્ષ પોતાની માગણી ૨જૂ કરેલી:

‘તમારી મોહનમાળા આજનો દી પહેરવા આપોની.’

‘કેમ ભલા ?’ લાડકોરે પૂછેલું.

‘મારી ડોક અડવી છે.’

‘મંગળ-સાંકળી છે ને ?’

‘દોરા જેવી સાંકળી તો દીઠામાંય ન આવે.’

‘દીઠામાં ન આવે તો દેખાડવાની એવી શું જરૂ૨ છે ?’

‘આટલાં બધાં મહેમાનોની વચ્ચે હું ભૂંડી ન લાગું ?’

‘જેવાં હોઈએ એવાં લાગીએ એમાં શરમાવાનું શું ભલા ?’ લાડકોરે પૂછ્યું. અને પછી નાદાન ભોજાઈને શિખામણ આપી: ‘ફાટ્યે લૂગડે અને દૂબળે માવતરે શરમાઈએ નહીં, સમજી ?’

નણંદનાં આવાં શિખામણસૂત્રો કાને ધરવાની સમરથની તૈયારી નહોતી. એ વરણાગીને તો બસ, પહેરી-ઓઢીને મહાલવાનું જ મન હતું. એથી જ એણે મોહનમાળાની માગણીના સમર્થનમાં વિચિત્ર દલીલ કરી:

‘તમારી પાસે એક મોહનમાળા વધારાની છે એટલે માગવા આવી છું.’

‘વધારાનું હોય એટલું બધુંય કોઈને આપવા સારુ ન હોય, સમજી ?’

પણ સમરથ એમ સમજી જાય એવી સમજુ નહોતી. એણે તો વધારે વિચિત્ર દલીલ કરી:

૪૨
વેળા વેળાની છાંયડી