પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બહેનપણીના વિયોગને કા૨ણે શારદાની આંખ તો સુકાતી જ નહોતી.

મેંગણીના પાદરમાંથી એકને બદલે બે ઘોડાગાડીઓ સામટી ઊપડી અને ઘૂઘરાના રણકારે આખી સીમને ભરી દીધી.

કીલા માટે આજે જીવનનો ધન્ય પ્રસંગ હતો. આખે મારગે એ ઓતમચંદને પોતાની અને ભેગાભેગી નરોત્તમની પણ આપવીતી કહેતો જતો હતો. વચ્ચે વચ્ચે મનસુખલાલની બેવકૂફીની મજાક ઉડાવતો જતો હતો: ‘બિચારા મનસુખલાલ! એનામાં બધુંય છે, પણ મીઠાની જરાક તાણ રહી ગઈ છે. એટલે ભલો માણસ ઓળખી જ ન શક્યો કે હું કોણ?... કીલો કાંગસીવાળો!’

‘હવે તમને કાંગસીવાળા ન કહેવાય! તમે તો મોટા લાટસાહેબના શિરસ્તેદાર!’ ઓતમચંદે એક વાર કહ્યું.

‘ના રે ભાઈ, કાંગસીવાળાની પદવી તો શિરસ્તેદાર કરતાં સાતગણી ઊંચી છે,’ કીલાએ સમજાવ્યું. શિરસ્તેદારનો હોદ્દો તો ગોરાસાહેબે આપ્યો છે, પણ કાંગસીવાળાની પદવી તો મારા લોકભાઈયુંએ દીધી છે. આ દુનિયામાં મારા જિગરજન બંધવા ત્રણ જણા છે—’

‘કોણ, કોણ?’ ઓતમચંદે પૂછ્યું.

‘એક મારો ભાઈબંધ દાવલશા ફકીર, બીજે ઓલ્યો ભગલો ગાંડો... ને ત્રીજો મારો મોટો—’

‘મોટો? એ કોણ વળી ?’

‘તમારો નાનો ભાઈ... જેને મનસુખલાલ બિચારા જીવ હમણાં લગી પરભુલાલ શેઠ ગણતા હતા, એ જ–’

સાંભળીને ઓતમચંદ હસ્યો.

પણ ત્યાં તો કીલાએ એક ગંભીર વાત ઉચ્ચારી: ‘હું તો કાલે સવારે આ શિરસ્તેદા૨ી છોડીને પાછો સ્ટેશન ઉપર રમકડાં વેચવા બેસી જઈશ—’

ઘોડાગાડીના ઘૂઘરા
૪૫૯