પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘એમ તે કરાતું હશે, કીલાભાઈ?’

‘શું કામ ન કરાય? રેંકડી ફેરવવામાં જે સુખ છે એ અમલદારી ક૨વામાં નથી, ઓતમચંદભાઈ!’

આમ વાતો ચાલતી રહી ને ઘોડાગાડીઓ આગળ વધતી રહી. ખળખળિયા પાસે આવતાં ઓતમચંદે કહ્યું: ‘અહીં એક દિવસ મારી મરણપથા૨ી નખાઈ ગઈ’તી, પણ એભલભાઈ આહીરે આવીને મને જિવાડી દીધો–’

‘અમે બધી વાત જાણી લીધી છે, ઓતમચંદભાઈ! તમે તો બહુ વીતક વેઠ્યાં—’

‘તોય તમારા કરતાં ઓછાં!’ ઓતમચંદે કીલાને કહ્યું, ‘તમારી સંધીય વાત પણ મેં જાણી લીધી છે.’

‘તો તો આપણે બેય જણા સરખા ને સમદુખિયા!’

‘દુખિયા ગણો કે સુખિયા ગણો!' ઓતમચંદે તારણ કાઢ્યું: ‘કદાચ આપણા જેવા સુખી બીજા કોઈ નહીં હોય!

‘મને પણ એમ જ લાગે છે!’

ઘોડાગાડીઓએ અમરગઢ સ્ટેશનના પાટા ઓળંગ્યા, કે તુરત જ ઘૂઘરાના અવાજ સાંભળીને બાવા-સાધુઓથી માંડી સ્ટેશન માસ્તર સુધીનાં માણસો ઘૂમરી વળીને ગાડીઓને ઘે૨ી વળ્યાં અને ‘શેઠ! શેઠ!' કહીને સહુ સિફારસ કરવા લાગ્યાં.

ગાડી વાઘણિયાને મારગે આગળ વધી એટલે કીલાએ ટકોર કરી, ‘તમારાં તો અહીં બહુ માન છે, ઓતમચંદભાઈ!’

‘મારાં નહીં, મારી ઘોડાગાડીનાં. જેમ અમલદારને નહીં પણ અમલદારની લાકડીને સલામ ભરાય છે, એના જેવું જ આ છે.’ ઓતમચંદે કહ્યું, ‘હજી કાલે સવારે જ હું ઉઘાડે પગે ટાંટિયા ઘસતો અહીંથી નીકળતો, ત્યારે કોઈ ભાવ પણ નહોતું પૂછતું.’

‘એ જ દોરંગી દુનિયાના રિવાજ છે!’

૪૬૦
વેળા વેળાની છાંયડી