પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વાતો કરતાં કરતાં થોડેક આગળ ગયા, ત્યાં તો કીલો એકાએક બૂમ મારી ઊઠ્યો:

‘ગાડી ઊભી રાખો જરાક, ઘડીક ઊભી રાખો!’

આગલી ગાડીમાંથી વશરામે આ હાકલ સાંભળીને ગાડી થોભાવી દીધી.

‘કેમ ઊભી રખાવી ભલા?’ ઓતમચંદે પૂછ્યું.

‘અરે! સામેથી મહાસતીજી વિહાર કરતાં આવે છે!...મીઠીબાઈસ્વામી પધારે છે!’ કીલાએ કહ્યું, ‘વરઘોડિયાંને મહાસતીને વંદન કરવાનો આવો મજાનો મોકો ક્યાંથી મળત?’

થોડી વા૨માં તો સામેથી શ્વેત વસ્ત્રધારી મીઠીબાઈ અને એમનાં શિષ્યાઓ આવી પહોંચ્યાં, એટલે બંને ગાડીઓમાંથી સહુ નીચે ઊતરી ઊભાં રહ્યાં.

કીલાએ એકબીજાના ખબરઅંતર પૂછ્યાં. મીઠીબાઈએ કહ્યું કે ‘અમે વિહાર કરીને હવે અમરગઢ જઈએ છીએ.’ કીલાએ નરોત્તમનાં લગનના સમાચાર આપ્યા તેથી સાધ્વીજી ખુશ થયાં.

કીલાએ નરોત્તમને કહ્યું: ‘તમે વરઘોડિયાં મહાસતીજીને પગે લાગો!’

નવદંપતી વંદન કરવા જતાં હતાં ત્યાં જ મીઠીબાઈએ કહ્યું, ‘મને નહીં, કીલાભાઈને વાંદો!’

‘અરે આ શું બોલ્યાં?’ કીલાએ પૂછ્યું.

‘સાચું જ બોલી છું!’ મહાસતીએ કહ્યું, ‘અમે તો સંસાર છોડીને આ માથું મૂંડાવીને સાધુ થયાં, પણ તમે તો સંસારમાં રહીને સાધુથીયે સવાયા થઈ ગયા છો!

‘મને શ૨માવો મા, મહાસતીજી!’

‘તમ જેવા સાચા સાધુને જોઈને શ૨માવાનું તો હવે અમ જેવાંને જ રહ્યું—’

ઘોડાગાડીના ઘૂઘરા
૪૬૧