પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઘડીભર વિચારી રહ્યો: ‘આનો હવે શો ઉપાય કરવો ?’ તુરત જ એને યાદ આવ્યું કે આનો ઉપાય તો લાડકોરે સૂચવ્યો જ હતો. અને એ અનુસાર તો કપૂરશેઠને આગ્રહભેર રોકી દેવામાં આવ્યા હતા.

આમ તો નરોત્તમ ઉપ૨ નાનપણથી જ અનેક પુત્રીપિતાઓ નજર ટાંપીને બેઠા હતા. એમાં અલબત્ત, આબરૂદાર ઘરની સુખસાહ્યબી ઉપરાંત ઓતમચંદની અંગત સુવાસ પણ કારણભૂત હતી જ. અને કહેવું જોઈએ કે ઓતમચંદ કરતાં પણ અદકી સુવાસ તો ગરવી ગૃહિણી લાડકોરની ફેલાયેલી હતી. નરોત્તમનાં માબાપ તો છોકરાને છ-સાત વ૨સનો મૂકીને જ ગુજરી ગયેલાં. આ ભાઈભોજાઈએ એ બાળકને ઉછેરેલો અને આજે એને સગા દીકરાથીય સવાયો ગણીને સાચવતાં હતાં એ હકીકત આખા પંથકમાં જાણીતી હતી. પરિણામે, આવા ખાનદાન ખોરડા સાથે સહુ પુત્રીપિતાઓ સંબંધ બાંધવા પ્રેરાય એમાં શી નવાઈ ! અને કપૂરશેઠની પુત્રીની પસંદગી તો ખુદ લાડકોરે જ કરી હતી. ઓતમચંદને હવે યાદ આવ્યું કે મેંગણીમાં લાડકોરનાં દૂર દૂરનાં મોસાળિયાં સગાં રહેતાં અને એક વેળા મેંગણી જવાનું બનેલું ત્યારે કપૂરશેઠને ઘેર વેપારને નાતે જમવાનું નોતરું મળેલું એ વેળા લાડકોરે ચંપાને જોયેલી; માત્ર જોયેલી એટલું જ નહીં, એ બાલિકાની હોશિયારી, સુશીલતા અને સદ્‌ગુણોની પરીક્ષા પણ કરી જોયેલી — પોતાના દિયરનું સગપણ કરવાની દૃષ્ટિએ. તેથી જ, વાસ્તુપૂજન પ્રસંગે કપૂરશેઠનું કુટુંબ વાઘણિયે આવ્યું ત્યારે એમને અમરગઢ સ્ટેશને ઉતારવા જવા માટે લાડકોરે બીજા કોઈને નહીં ને નરોત્તમને જ આગ્રહપૂર્વક મોકલેલો… દીર્ઘદૃષ્ટિ ધરાવના૨ ૫ત્નીએ

આટલો ઊંડો વ્યૂહ ગોઠવી રાખેલો એ સમજાતાં ઓતમચંદ મનમાં ને મનમાં મલકી ઊઠ્યો. અને તેથી જ, પત્નીની આજ્ઞા કદી ન ઉથાપના૨ ઓતમચંદે આજનું સૂચન પણ સત્વર સ્વીકારી લીધું. કુલયોગિની લાડકોર કાંઈ સૂચવે એ કુટુંબ માટે શ્રેયસ્ક૨ જ

કરો કંકુના
૫૩