પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘ખુશાલીનો નથી,’ વાંચતાં વાંચતાં કાગળને છેડે આવી પહોંચેલ કપૂ૨શેઠે ભારેખમ અવાજે ઉમેર્યું: ‘જાણે ખરખરાનો છે—’

આવો અણધાર્યો ઉત્તર સાંભળીને સંતોકબા એવાં તો ડઘાઈ ગયાં કે હવે વધારે પૂછગાછ કરવાના પણ એમને હોશ ન રહ્યા. કમાડની ઓથે લપાઈને ઊભેલી ચંપા પણ ચિત્રવિચિત્ર તર્ક કરવા લાગી.

આખરે કપૂરશેઠે જ પોતાના પ્રથમ કથનનો સ્ફોટ કર્યો: ‘ચંપાને વાઘણિયે વરાવી એમાં એના મામાને બહુ મનદુઃખ થયું છે…’

‘કાં ? કેમ ભલા ?’

‘લખે છે કે રતન જેવી દીકરીને ઉકરડે નાખી દીધી.’

‘પણ ઓતમચંદ શેઠનું ઘ૨ ઉકરડો ગણાય ?… કેવું મજાનું—’

‘મનસુખભાઈ તો લખે છે કે વાઘણિયા જેવા ગામડાગામમાં ચંપાનો અવતાર બળી જશે.’

‘પણ આપણું મેંગણી ક્યાં મોટું શહેર છે ?’ સંતોકબાએ સામો પ્રશ્ન કર્યો.

‘મેંગણી ભલે ને વાઘણિયા કરતાંય નાનું રહ્યું,’ કપૂરશેઠ બોલ્યા: ‘પણ ચંપાના મામા તો લખે છે કે મારી ભાણેજ તો રાજકોટ જેવા મોટા શહેરમાં શોભે એવી છે.’

‘પણ મોટા શહેરમાં ઓતમચંદ શેઠના જેવું ખાનદાન ખોરડું જડે ખરું ?’

‘મનસુખભાઈ તો લખે છે કે મને કીધું હોત તો આઠ ઓતમચંદને આંટે એવું મોભાવાળું ઘર ગોતી દેત—’

‘ને નરોત્તમ જેવો જમાઈ—’

‘લખે છે કે ફૂલફૂલિયા કુંવર જેવા સાતસેં મુરતિયા મારા ખિસ્સામાં હતા. પણ ઉતાવળ કરીને ચંપાને ગામડામાં ફેંકી દીધી.’ કપૂરશેઠ કાગળમાંથી અવતરણો ટાંકતા જતા હતા.

‘તો હવે જસી સારુ એના મામાને કહીને કોઈ શહે૨નો મુરતિયો ગોતશું. પછી છે કાંઈ ?’

કાગળને કડાકો
૭૭