પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જે દિવસે તેઓ ‘હરિનિવાસ’ ખાલી કરીને ભાડાના મકાનમાં રહેવા ગયાં તે દિવસે સમજુ નરોત્તમ તો કાઠી છાતીએ હિંમત જાળવી શકેલો પણ લાડકોરને બહુ લાગી આવ્યું. કેટકેટલાં અરમાન સાથે એ આ મકાનમાં રહેવા આવેલી ! લાડકોરના સઘળા મનસૂબા મનમાં જ રહ્યા. ઓતમચંદ એને એક જ આશ્વાસન આપી શકે એમ હતા: ‘જેવી હરિની ઈચ્છા !’

લાડકોર તો ગમે તેટલી લાગણીશીલ હોવા છતાં ઊંડી સમજશક્તિ ધરાવતી હોવાથી આ જીવનપલટો જીરવી શકી. પણ નાનકડો બટુક, જે પૂરો સમજુ પણ નહોતો અને સાવ અણસમજુ પણ ન ગણાય, એની સ્થિતિ અત્યંત વિષમ હતી. એ અબુધ બાળક, નાટકના તખ્તાની જેમ પલટાતા આ જીવનરંગ સમજી શકે એમ નહોતો, તેમ સહન પણ કરી શકતો નહોતો. વારે ઘડીએ એ પૃચ્છા કર્યા કરતો: ‘બા, આપણી નવી મેડી શું કામે ખાલી કરી ?’ આ પ્રસંગે માબાપને મર્મસ્થાને ઘા લાગતો.

સાપ કાંચળી ઉતારે એટલી આસાનીથી ઓતમચંદે એક પછી એક પરિગ્રહ તજવા માંડ્યા હતા. સંજોગવશાત્ આ સમજુ માણસે પોતાના ચિત્તમાં સમાધાન યોજી લીધું હતું, તેથી એને પોતાને તો આ જીવનપલટા અંગે બહુ ઝાઝો અફસોસ નહોતો. પણ સુખચેનની

દોમ દોમ સાહ્યબી ભોગવેલ લાડકોરનું અંતર કોરાતું હતું. એ ચતુર ગૃહિણીને જેટલી ચિંતા પોતાના સાત ખોટના પુત્ર બટુકના ભાવી અંગે હતી એથીય અદકેરી ચિંતા, દીકરાથી સવાયા દિય૨ – નરોત્તમ–ના તાત્કાલિક ભાવી અંગે થતી હતી, ‘હવે નરોત્તમનાં લગનનું શું થાશે ? નાણાંનો ને આબરૂનો બેવડો ધક્કો લાગ્યો છે એટલે હવે વેવાઈવાળા વેવિશાળ ફોક તો નહીં કરી નાખે ને ?’ લાડકોર આ શંકા પતિ સમક્ષ વ્યક્ત તો ન કરતી, પણ એ ચિંતા એના હૃદયમાં શલ્યની જેમ ભોંકાયા કરતી. અનેકવિધ આપત્તિઓમાં ગળાબૂડ

૮૬
વેળા વેળાની છાંયડી