પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આ દરમિયાન રસોડામાં ચંપાએ મુનીમના જઠરાગ્નિથી ચેતી જઈને રોટલીના લોટની કણક ફરી વાર બાંધી લીધી હતી અને સંતોકબા ઉંબરા ઉપર બેઠાં બેઠાં મહેમાનના મોઢા સામે ડોળા ફાડીને તાકી રહ્યાં હતાં.

જીભ જરાક નવરી થઈ કે તરત મકનજીએ કપૂરશેઠને મર્મભર્યો પ્રશ્ન પૂછ્યો: ‘બેનનાં લગન ઓણ ક૨શો કે પો૨ ?’

મુનીમના આવા મુત્સદ્દીગીરીભર્યા પ્રશ્નનો જવાબ આપવાનું કામ કપૂરશેઠ માટે કઠિન-અતિકઠિન-હતું.

વ્યવહારડાહ્યા કપૂરશેઠે મૂંગા રહેવાનું જ મુનાસિબ ગણ્યું.

સંતોકબાની આંખો મુનીમ તરફ વધારે રોષ ઠાલવતી રહી.

પણ મુનીમ આવી નાજુક વાતનો છેડો એમ સહેલાઈથી છોડે એમ નહોતો. પોતાના પ્રશ્નનો યેનકેન પ્રકારેણ ઉત્તર મેળવવા માટે એણે ઉસ્તાદ ધારાશાસ્ત્રીની અદાથી ઊલટતપાસ કરતો આડકતરો પ્રશ્ન ફેંક્યો: ‘વાઘણિયેથી લૂગડાં-દાગીના ચડાવી ગયા કે ?’

કપૂરશેઠ સમજી ગયા કે મુનીમ આ બધા પ્રશ્નો દાઢમાં પૂછી રહ્યો છે. તેથી, એમણે મિતાક્ષરી—કહો કે એકાક્ષરી—ઉત્તર જ આપી દીધો: ‘ના.’

‘બહુ મોડું કર્યું ઓતમચંદ શેઠે તો.’ મુનીમે વાત આગળ વધારી. ‘સમુરતું ચડાવવામાં આટલી ઢીલ થાતી સાંભળી છે ક્યાંય ? દાગીના ઘડાવવામાં શું દસ-બાર વરસ લાગતાં હશે ?’

કપૂરશેઠને લાગ્યું કે મારા અંતરની વાતને જ આ મુનીમ વાચા આપી રહ્યો છે. છતાં આ પારકા માણસ સાથે લોલમાં લોલ કરવાં કપૂરશેઠને ખાનદાની આડે આવતી હતી.

૨સોડામાં રોટલી વણી રહેલી ચંપા સ૨વા કાન કરીને ઓસરીમાં થતી વાતચીતો સાંભળી રહી હતી. પણ મકનજીએ હવે પ્રશ્નનું હાર્દ પકડ્યું હોવાથી એણે વાતની નાજુકાઈને કારણે પોતાની નૂક્તેચીનીનો

૯૬
વેળા વેળાની છાંયડી