પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સૂર જરા નીચો ઉતારી નાખ્યો હતો. પરિણામે ચંપાને કાને મુનીમનાં તૂટક તૂટક વાક્યો જ સંભળાતાં હતાં:

‘એ તલમાં હવે તેલ નથી… એટલામાં સમજી જાવ !… ઘ૨માં ખાવાનાં ધાંધિયાં છે એમાં ઘરેણાં ક્યાંથી ઘડાવશે ? લાડકોર શેઠાણીની ડોકમાંથી મંગળસૂતર સિક્કે ઉતારી લેવું પડ્યું છે, એ હવે સમુરતું કેમ કરીને ચડાવે ?… હતી તે દી સરગાપુરી જેવી સાહ્યબી હતી. હવે મોતીનાં પાણી ઊતરી ગયાં, એટલામાં સમજી જાવ !… દીકરી દઈને તમે તો ભારે ભાઠમાં પડી ગયા, શેઠ… ઘરણપાણીની જ વાત… નહીંતર ચંપા જેવી કન્યાને તો ફૂલફૂલિયા મુરતિયા જડી રહેતા… હવે તો બગડી બાજી સુધારી લેતાં આવડવું જોઈએ… હું તો વાત કહું સાચી… પેટનાં જણ્યાંનો ભવ બગડે એ માબાપથી દેખ્યું કેમ જાય ? હું તો વાત કહું સાચી… રસ્તો ?… રસ્તો તો ગોતીએ તો સૂઝી જાય… હજી તો સગપણ થયું છે… ક્યાં હથેવાળો થઈ ગયો છે ? ચાર ફેરા ફરી લીધા હોય તો વળી ફિકર… વેશવાળ તો હજી મોઢાની વાત ગણાય… ફ૨જંદનું હિત જોવું હોય તો વાત ફેરવી વાળવી પડે… હું તો વાત કહું સાચી… આબરૂ ?… આબરૂ બાબરૂ તો સંધુંય સમજ્યા હવે… આપણે તો આપણા સંતાનનો ભવ સુધારવો છે કે બગાડવો છે ?… ગામને મોઢે તો ગળણું ન બંધાય… બે દિવસ વાત કરીને પછી બધુંય ભૂલી જય… ધણીને સૂઝે ઢાંકણીમાં… હા, હું તો વાત કહું સાચી… નરોત્તમના નામનું માંડી વાળો… એ તલમાં હવે તેલ નથી… હું તો વાત કહું સાચી…’

કથરોટમાંની કણકમાંથી છેલ્લી રોટલી વણાઈ રહી ત્યાં સુધી ચંપાએ મુનીમની આ ‘સાચી વાતો’ સાંભળ્યા કરી. એની આંસુભીની આંખમાંથી જે છેલ્લે આંસુ ખર્યું એ પણ રોટલીમાં વણાઈ ગયું. એ રોટલી વડે મુનીમને ધ૨ાવ થયો અને ‘હવે બસ !’ કહ્યું ત્યારે જ ચંપાએ નિરાંત અનુભવી.

હું તો વાત કહું સાચી
૯૭