પૃષ્ઠ:Venina Ful.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



પ્રવેશક


લોકસાહિત્ય એટલે વ્હેતીયાણ નદી સરખું પ્રવાહી સાહિત્ય. એ વહેતું રહે તેટલા પ્રમાણમાં જ એની નિર્મળતા : એ થંભી જાય ત્યારે નદી મટીને ખાડો બને, ખાડાનું ય ખાબોચીયું બને, ગંધાય ને પછી સૂકાઇ જાય.

અને લોકસાહિત્યનું સૂકાવું એટલે શું? પ્રજાના આંતર્જીવન પરની એક મોટી વિપત્તિ. લોકોનાં ખેતરમાં અનાવૃષ્ટિ હોય તો હવે મોંઘે ભાવે યે પંજાબના ઘઉં અને માળવાનો બાજરો ઉતારી શકાય છે, પણ પ્રજાના પ્રાણ પર રસ–સાહિત્યની અનાવૃષ્ટિ આવતાં, એ પ્રાણની ક્ષુધા શમે તેવું કોઇ સાહિત્ય આજે રેલગાડીમાં ભરીને પંજાબ કે માળવેથી નહિ લાવી શકાય.

એ આપત્તિ આજે લોકોનાં જીવન પર ઉતરી ચૂકી છે. જ્યાં ગીત ભજનોની ને કથા વાર્તાની નિત્ય નવેલી એલીઓ બેસતી ત્યાં આજે નવી એક પંક્તિ પણ રચાવી દોહ્યલી થઇ પડી છે. લોકોના કંઠ ઉપર આપોઆપ ચડી બેસે એવું કાવ્ય કેવળ લોક–કાવ્ય કહ્યેથી થોડું લોક–કાવ્ય થઇ જવાનું હતું ? પાણીને દૂધ કહી પીધે કાંઇ અમીના ઓડકર થોડા આવે છે?