પૃષ્ઠ:Venina Ful.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એ રીતે ‘પારેવાં’નું સ્થુલ જીવન નાનાં ભાઇ-બ્હેનોને ગમે તેવું કરવાનો પ્રયત્ન થયો.

૩. એથી સ્હેજ જૂદી તરેહનું રૂપાન્તર કરવાથી કેટલાંયે આભડછેટીયાં અથવા સૂગ ઉપજાવતાં ગીતોનું અમર તત્ત્વ આપણે હાથ કરી શકીએ છીએ. એક મુસલમાનની તોરનું ગીત છે:

ધૂપ પડે ને ધરતી તપે છે ભલા !
સૂરજ રાણા ! ધીમા તપોને
મારી મેંદીનો રંગ ઉડી જાય !

એ સરસ ભાવ : પણ પછી તો ‘મીંયા’ અને ‘દાતણીયાં’ દેખાયાં:

મીંયાકે વાસ્તે દાતણીયાં મગાવો ભલા !
હાં રે એનાં નેનાં ઝબૂકે જલપૂર
હાં રે એનાં જોબન જાય ભરપૂર – સૂરજ૦

ગીત આવું ગવાતું કાદાચ આજના યુગમાં ન ગમે. તે પછી આપણે ઢાળ, ભાવ, કલ્પના સ્હેજ ફેરવી કાઢીએ.

હાં રે મારી મેંદીનો રંગ ઉડી જાય રે
સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !
હાં રે મારો કંકુનો ચાંદલો ચોળાય રે
સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !

વગેરે કેવળ જૂદી જૂદી વણસતી શણગાર સામગ્રીનાં ચિત્રો વસાવી દઇએ. [પાનું ૨૭: સૂરજ ધીમા તપો!] એટલે શબ્દોની સુઘડ ઢગલીઓ પણ મઝા આપે, અંદરની કન્યાહૃદયને સ્પર્શતી એક સ્નેહની ઉર્મિ પણ ઉઠે: