પૃષ્ઠ:Veranman.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તવારીખો : ટાગોર, દ્વિજેન્દ્રલાલ ઈત્યાદિ બંગાળી સાહિત્યસ્વામીઓની વાનીઓ : (તેની તો બંગાળી ભાષાના રસિક અભ્યાસી ભાઈ સુશીલે જ પહેલ કરી દીધેલી.)

ચોથે વર્ષે મેં સૌરાષ્ટ્રના પત્રસંપાદનમાંથી મુક્તિ માગી. કેમકે એની અંદર આવશ્યક લેખાતા મતાગ્રહો, દુરાગ્રહો, પૂર્વગ્રહો, ને દાઝેભર્યા આવેગોને સહેવા જેટલું પાકું રીઢું મારું મનોબળ ન બની શક્યું. વેરાનમાં વંટોળા અને આાંધીઓ વધતાં જતા’તાં. પ્રચારલક્ષી, કેવળ વિઘાતક પ્રચારલક્ષી વિચારદાવાનલની રોશની વધુ ને વધુ આંખો આાંજતી હતી. મેં મારી સાહિત્યદીવી લઈને જુદી વાટ ઝાલી.

એ ઝાંખી બત્તીએ મને દિશાદોર ચૂકવા દીધો નથી: મારાં ગીતો, વાર્તાઓ અને વિવેચનોનાં નવાં નવાં ફૂટ્યે જતાં ચાંદરણાંનું પણ મને એ ઝાંખી બત્તીએ જ દર્શન કરાવ્યું. સાહિત્યના પ્રદેશમાં મારું આજનું જે કંઈ સ્થાન છે, કેટલીક નવપગલીએ મારાથી પડી શકી છે, ને હજુ ય જે વણચૂક્યું દિશાપ્રયાણ મારૂં ચાલુ છે, તે બધાની પાછળ પ્રતાપ એ નાની બત્તીના છે. એ બત્તીને ચેતાવનાર સૌરાષ્ટ્રના પત્રકારત્વની સાહિત્યરંગી જ્યોત.

‘સૌરાષ્ટ્ર' બંધ પડ્યું, ને ‘ફૂલછાબ’ નીકળ્યું, ‘ફૂલછાબ’ના સંચાલનમાં મને સાથે લેનારા સંચાલક ભાઈઓએ પણ મારી ઝાંખી બત્તીને આદર દીધો. ‘ફૂલછાબ’નું કામ કોઈ પણ અમૂક વાદના વિજળી પ્રચારની પેટીમાં ન પૂરી દેતાં અમે એનાં પાનાંને મોકળાણ આપી - આપણી માનવતાનાં સર્વ અંગોને સ્પર્શે તેવાં બહુરંગી લખાણો ઝીલવાની. કાળ