'એલીબી'નો અસ્વીકાર થયો. જજે અને જ્યુરીએ બેઉને ખૂનના અપરાધી ઠરાવી દેહાંતની સજા ફરમાવી.
હરપળે પોતાની નિર્દોષતાની જાહેરાતની તેમજ તત્કાળ છુટકારાની રાહ જોઈ મલકાતા મુનીએ જ્યારે જ્યુરીનો નિર્ણય સાંભળ્યો, ત્યારે તે એકજ ક્ષણે મુનીના મોં ઉપર એક કબર ચણી દીધી.
“હોય નહિ, મારે દીકરો, મારો ટોમ કદી જ એવું કામ કરે નહિ.” એવા ધાપોકાર કરતી પાંસઠ વર્ષની ડોશી, તે વેળાના પ્રેસીડેન્ટ થીઓડોર રૂઝવેલ્ટની પાસે દોડી જઈને ખાત્રી આપી આવી કે “મારા દીકરા ઉપર તર્કટ થયું છે.”
રૂઝવેલ્ટની દરમ્યાનગીરીથી મોતની સજા રદ થઈ.
બત્રીસ વર્ષનો જોબનજોદ્ધ મુની પોતાના કારાવાસને વેઠતો હતો. બેઠાં બેઠાં એણે સાંભળ્યું કે ૧૯૧૭માં અમેરિકાએ જાદવાસ્થળીમાં ઝુકાવી દીધું છે.
તે પછી તુરતમાં એને કાને પડ્યો શાંતિનો શબ્દ: "યુદ્ધવિરામ.” હવે તો મને છોડશે: એવી આશાએ મુની બેસી રહ્યો. એ દિવસ ન આવ્યો.
મુનીના જેલ ગયા બાદ થોડા જ વખતમાં એક ભેદ પકડાયો. સરઘસના હત્યાકાંડમાં ખૂનીને સંડોવવા માટે જે એક માણસ ઉપર પોલીસનું દબાણ લાવવામાં આવ્યું હતું તે માણસે એ મતલબનો પોલીસનો પોતાના ઉપરનો કાગળ જગતની સામે મૂક્યો. ૧૯૨૧ માં બીજા પણ એક સાહેદે