પૃષ્ઠ:Veranman.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખંડેરો બોલે છે
૧૪૭
 

રાખતાં હતાં. પરણ્યા વગરના હજારો જુવાનો ઘડપણ સ્વીકારી સ્વીકારી નિર્વંશતાની બીકને કાંઠે બેઠા હતા.

એ તમામને માટે તળાજાના ડુંગર ઉપર આજે મુક્તિનો દિવસ ઊગેલ છે. રાજા એભલે એ તમામનાં જીવનોને રૂંધી રાખનાર સામાજિક કારાગારની દિવાલોના ભૂક્કા કર્યા છે.

એ દિવાલ જેવી તેવી નહોતી. એ તો બ્રાહ્મણોની ચણેલી દિવાલ હતી, જીવતાં મનુષ્યોને ચણી લેવાની દિવાલ હતી.

તાલધ્વજ ઉપર ધેનુઓનાં વાછરૂ જેવી કિલ્લોલતી એ હજારો પ્રજા-કુમારીઓ પરણવા ચાલી છે. મોડબંધ જુવાનોમાં નવું જીવન ધબકારા મારે છે. લગ્નસંસારના મનોભાવો ભરમ બની ગયા હતા તેને સ્થાને જીવન-લહાવની નીલી વાડીઓ લચી ગઈ છે. રાજા એભલ આજે એ હજારો કન્યાઓનું એકલે હાથે કન્યાદાન આપે છે. એક એક કન્યાદાને રાજા એભલ એક એક અશ્વમેધનું પુન્ય હાંસલ કરે છે. રાજા એભલ પોતાના પાયતખ્ત વેળા શહેરથી ખાસ તળાજાને ડુંગરે આ હજારે કન્યાઓનું સંયુક્ત લગ્ન ઊજવવા આવ્યા છે. લોકપુત્રીઓનું નીલું નંદન-વન નિહાળી રાજા એભલને શેર શેર લોહી ચઢી રહેલ છે.

“રાજા એભલ !” કોઈ આવી ખબર આપે છે : “વાલ્યમ બ્રાહ્મણો તને શરાપી રહ્યા છે.”

“શરાપવા દેજો.” રાજા એભલ અડગ છે.