પૃષ્ઠ:Veranman.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩


રોજીંદા પત્રકારત્વને ઉતારી પાડવાને માટે તો મેં 'વેરાનમાં' નામ યોજ્યું નથી ને ? એનો જવાબ આ પુસ્તકમાંથી 'વડવાંગડું' આપશે. હમેશાં સાંજના એકાદ બે કલાકના જીવન પછી પસ્તીના ઢગલામાં પડી જતું દૈનિક પત્રકારત્વ પોતાના ધ્વંસ ઉપર જાહેર પ્રજાની રસવૃત્તિ ચણે છે. એના એકેએક આાંદોલનના રંગે પ્રજા રંગાય છે, એ ચડાવે તો પ્રજા ચડે છે, ને એ પછાડે તો પ્રજા નિઃશંક પડે છે. એવા સામર્થ્યની ઉપેક્ષા કે મશ્કરી જે મૂર્ખ હોય તે જ કરે. એવી ચેતના-વિધ્યુતનું વહન કરનાર દૈનિક પત્ર એકલા ફોજદારી મુકદમાઓના અહેવાલોને માટે, એકલી સભાઓની વિગતો માટે, એકલા વ્યાપારભાવ અને એકલા રાજસ્થાની પ્રજાના પીડતોના 'દેકારા’ને માટે ન હોઈ શકે. આગળ કહ્યું તેમ એનાં પાનાં પર માનવીની માનવતા જાગૃત કરનારાં સંસારમંથનો રજુ થાય, સંસારની દિશે દિશને અજવાળતી વાદમુક્ત કલમો એમાં ઠલવાય, તો એની શક્તિ સોગણી વધી જાય. એનો પ્રજા પરનો પ્રભાવ, ચોકસ માપ નીકળી શકે તેટલો ઘનિષ્ટ બની જાય.

આજનું આપણું રોજીંદુ પત્રકારત્વ દેકારાની દશાને પામ્યું છે તે તો એના સંચાલકો માલિકોની ટૂંકી દૃષ્ટિને પ્રતાપે. તેઓ 'આજ' માં રમે છે, 'આવતી કાલ’ની નવરચનામાં નહિ. તેઓ માનતા જણાય છે કે રાજદારી છમકલાં છાપવાથી અને લીંબરડી પીપળડી ગામોની ખળાવાડોના હવાલદારની ખબર લઈ નાખવાથી જ લોકો વાંચવા લોભાય છે: સાહિત્યનું પાનું તો જાણે કે પચીસ પચાસ વ્યક્તિઓના