પૃષ્ઠ:Veranman.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હું કોણ છું ?
૨૩
 

નબાપો હું આ સમાજને નામે એળખાતી અંધાર–ગલીમાં દાખલ થયો.

“દાખલ થતાં પહેલવહેલું મેં શું જોયું ? કાયદો: એક ફાંસીને માચડે લટકતા માનવીને રૂપે ! બીજી મેં દીઠી દૌલત, તમારી દૌલતઃ ટાઢ અને ભૂખમરાથી મરી ગએલી એક ઓરતને રૂપે. ત્રીજું મેં દીઠું પ્રજાનું ભાવી: એ મુએલી માનાં થીજેલાં સ્તનો ચૂસતી એક અંધ બાળકીને રૂપે."

[૫]

“કંગાલીઅત સામે તમે હસો છો ! લક્ષ્મીપુત્રો, મારી વિનવણી સાંભળી લો. હું કરગરૂં છું કે તમે દયા લાવો."

“કોની દયા ? તમારી પોતાની જ. અત્યારે આફત કોના શિર પર ઝઝુમે છે ? તમારા."

“ઈશ્વરને ત્રાજવે તમારો તોલ થઈ રહેલ છે; એક પલ્લામાં તમારી સત્તાસમૃદ્ધિ છે. ને બીજા પલ્લામાં છે તમારી જવાબદારી. પ્રભુએ પોતે કાંટો ઉપાડ્યો છે."

“હસો ના ! ભલા થઈને વિચારો. તમારાં પાપપુન્યના તોલમાં તમારા અંતરાત્માની એક નાની શી ધ્રુજાટીથી જ પ્રભુ નિર્ણય કરશે."

“તમે દુષ્ટો નથી; તમે બીજા સર્વના જેવા જ છો; ન બહેતર કે ન બદતર. તમારી જાતને તમે દેવ ન માનો. કાલે તમને શરદી ચડે પછી જોઇ લેજો તમારૂં દેવત્વ કેવું થરથરી ઊઠે છે!"