પૃષ્ઠ:Veranman.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
વેરાનમાં
 


“ઓ નામદાર !” બુઢ્ઢાએ જુની યાદ તાજી કરી; “મારો બેટો કાયર ન હોય, એને મોતની સજા કરી ત્યારની એની હાલત તો ધ્યાનમાં લ્યો ! એ શત્રુના ઘાવથી ઘાયલ થયેલો હતો. એને તો જખ્મીની ઝોળીમાં લોહી ટપકતાં સૂતે સૂતે જ લશ્કરી મુકદમો ચલાવી તમારા કમાન્ડીંગ અફસરે ઉડાવી દીધો છે. એને કશું બોલવાય દીધો નહોતો.”

“પરંતુ હું ક્યાં એનો જાન પાછો માગું છું ? હું તો કરગરું છું એની ઈજ્જતને માટે–સિપાહી બચ્ચાને પ્રાણાધિક એવી ઈજ્જતને માટે ! એકવાર બસ એટલું જ લખો, કે મારો પુત્ર હિચકારો નહોતો, પણ પોતાના ૨૩૦ જુવાનોની નિરર્થક કતલ અટકાવવા માટે તાબે થયો હતો.”

વાત પણ એમ જ હતી. મહાયુદ્ધમાં દેશના જુવાનો બકરાંની માફક જબ્બે થતા હતા. ડોસાના પુત્રની ટુકડી સપડાઈ ગઈ હતી. દુશ્મનો એના છુંદા ઉડાવી નાખત. યુવાન અફસરે માનવતાથી પ્રેરાઈ પોતાની ટુકડીને શરણે થવા રજા આપી હતી. પણ માનવધર્મ કરતાં લશ્કરી કાયદો વધુ કીંમતી ગણાયો.

ડોસાની દલીલો એળે ગઈ. લશ્કરી કાનુનના કલેજા ઉપરથી એનાં આાંસુનાં ટીપાં દડી પડ્યાં.

એ જ્યારે બહાર નીકળ્યો ત્યારે ભિખારી હતો. એણે ત્રણ વાતો ગુમાવી : પુત્રનો જાન : પુત્રની ઈજ્જત : અને એ ઈજ્જત પાછી મેળવવા માટે ખરચેલું પોતાનાં વીસ વર્ષોનું બચાવેલું ધન.

+ + +