બોલતા હતા: "માતાની જીવાદોરી ટકાવવાની કેટલી ઝંખના કરતા'તા ! આ-હા-હા ! સંસાર તો એવો છે..."
"ઊઠો હવે, સૌ નહાઇ લ્યો. કોઇએ સાદ કાઢવાનો નથી. બાયડિયું એ પણ રોવાનું નામનુંય કરવાનું નથી, એમ મારા ફુઆએ લખાવેલ છે. માટે સૌ ભાઇઓ અને બાઇઓ ચાલીના નળે શાંતિથી સ્નાન કરી લ્યો."
ખુશાલભાઇની એ સૂચના મુજબ સૌ નાહવા લાગ્યાં, ને એક મૃત્યુની વાત આડે બીજી અનેક દિલસોજીભરી વાતોના પડદા પાડી પાડીને આ સમૂહે સુખલાલને આ પરિવર્તનને સામે પાર ઊંચકી લીધો. દુ:ખનો થાળ જાણે સગાંસ્નેહીઓનો આખો સમૂહ બેસીને ભાગે પડતો જમી ગયો.
નાના શેઠ પણ ખુલ્લા નળ તરફ નાહવા જતા હતા, તેને ખુશાલે રોકીને કહ્યું : "તમે આંહીં ઓરડીમાં પધારો. બહાર ઊઘાડામાં નાહવાની ટેવ ન હોય. એટલે મારી ઓરડીમાં ગરમ પાણી મુકાવેલ છે."
નાના શેઠે અંદર જઇને જોયું તો ગરમ પાણી મૂકેલ હતું. બીજા બે ચાર લોકો-માણસોને પણ ખુશાલભાઇએ એ જ સ્નાનની સગવડ આપી.
29
પત્નીની જમાદારી
જે બીના અહીં બની ગઇ તેના વાયરા સૅન્ડહર્સ્ટ રોડ બાજુના સુખી લત્તામાં રહેનાર આ શેઠ ભાઇઓના ઘરની એકલી પડેલી સ્ત્રીને તત્કાલ તો પહોંચ્યા નહોતા, એટલે નાના શેઠની નીંદર કરતી છાતી પર પત્નીની કશી ધડાપીટ એ રાત્રીએ વરસી નહીં. છતાં ફડક ફડક થાતે હૈયે એણે રાત વિતાવી. બોણી વિનાના ધણીનો એકડો કાઢી નાખનાર એ પત્નીની