પોતાના બેઉ ભાંડરડાંને પાછલી પરસાળમાં લઈ જઈને સૂરજ લપાઈ ગઈ ને સુશીલાની રાહ જોતી રહી. સુશીલા એ બાજુ આવી એટલે સૂરજે ધીમેથી પૂછ્યું : "અમે પાડોશીને ઘેર જઈને બેસીએ, ભાભી ?"
"ના, શા માટે ?"
"આંહીં કોઈને હરકત તો નહીં ને ?"
"ના રે, કેમ કોઈએ કાંઈ કહ્યું ?"
"ના, એ તો અમસ્તું."
"નથી ગમતું ?"
"ગમે કેમ નહિ ? તમારી આગળ નહીં ગમે તો......"
"તો બીજું શુ ? તમારા ભાઈ પાસે ગમશે."
"ભાઈ તો પછી - પે'લાં તમે."
"એમ ? તો તો જોજો હો - હોઈ વઢે કરે ને, કાંઈ થાય ને, તો પણ ગભરાશો નહીં ને ? ન ગભરાવ તો તમને સાચાં માનું."
"અમને વઢે તો તો નહિ ગભરાઈએ, પણ તમને વઢે તો ગભરાઈ જવાય."
"મને વઢે તો પણ આજે તો મન કઠણ જ કરજો. કાલે આપણે ઘેર જઈશું."
"મારા ભાઈ આવશે ?"
"આવવાના તો હતા, નહીં આવે તોય આપણે જશું."
એ બોલમાં થોડો રોષ ને થોડો વહેમ અવાજ કરતાં હતાં, કાલે બપોરે ગયેલો સુખલાલ હજુ કેમ રોકાય ગયો ? બીને ત્યાંથી ફારગતી તો નહીં મોકલાવી દીધી હોય ? આવ્યા'તા મોટે ઘોડે ચડીને ને બુકાની બાંધીને ! પણ મારા સસરાજીએ એને મોળા પાડી દીધા હશે તો ? તો એનો શો વાંક ? વાંક - સો વાર એનો જ વાંક ! ભાભુની કસોટીથી ડરી ગયા હશે ?
એણે સૂરજને પૂછ્યું " "તમારા ભાઈ કોઈથી બીવે કે નહીં ?"
"ઢેડગરોળીથી બહુ બીવે - બીજા કોઇથી નહીં."