ઘ્રાણેન્દ્રિયને આ પ્યાલીની વાસ અસહ્ય થઈ પડી હતી. બીજુ કશું ન સૂઝતાં એણે અંબરના છેડાનો ડૂચો વાળી, નાક આડે ગોઠવ્યો.
‘આ શું કરે છે ?’ રિખવે આંખ કાઢી.
‘માફ કર. મારાથી આ વસ્તુ દૂર રાખ. એની દુર્ગધ નથી ખમાતી.’
‘દુર્ગંધ કે સુગંધ ?’
‘તારે મન એ સુગંધ હશે. મને તો એ નરક કરતાંય બદતર…’
‘એમ કહીને તું આ પીણાનું અપમાન કરે છે.’
‘એ પીણું અપમાનને જ લાયક છે.’
‘ત્યાં જ તારી ભૂલ છે. દેવોએ પણ આ વસ્તુને તો સન્માની છે. દેવલોકમાં પણ સુરાપાન થાય છે. સુરા તો કુદરતની એક સંપત્તિ છે. એનો ઉપભોગ કરવો એ માનવીનો ધર્મ છે.’ રિખવે કહ્યું
‘બહુ થયું લે, હવે. તારા સ્વાર્થ માટે બિચારા દેવો અને દેવલોકને શા માટે વગોવે છે?’ સુલેખાએ કરડાકીથી કહ્યું.
એ કરડાકીએ રિખવને સહેજ મલકાવ્યો. બોલ્યો : ‘દેવોને વગોવવા ન હોય તો આટલો બધો ગુસ્સો કાં કરે છે ? દેવોના અમૃતનું આવી રીતે અપમાન ન કરાય.’
‘એ અમૃત ઝેરથીય બદતર છે.’
‘ઝેર તો ઝેર ગણીનેય એક પ્યાલી તો પીવી જ પડશે.’
‘એ મારાથી નહિ બને.’ સુલેખાએ કહ્યું.
‘તું મારા ઉપર જુલમ કરે છે. આ જામ તો મારા જીવનનું સર્વસ્વ છે. જીવનનો પ્રાણવાયુ કહું તોય ખોટું નથી…’
‘જો એમ હોય તો તું એકલો જ એ પ્રાણવાયુ લઈ શકે છે. મને શા માટે સંડોવે છે ?’
‘ત્યાં જ તારી ભૂલ થાય છે.’ રિખવે ખડખડાટ હસી પડતાં