પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
વ્યાજનો વારસ
 

 કરનારને હું રસિક ન ગણું પણ દારૂડિયો કહું.’

રિખવની આંખના ખૂણા ખેંચાયાં. સુલેખાનાં વાક્યો સાંભળીને પગથી માથા સુધી ઝાળ લાગી. પણ બીજી જ ક્ષણે એ આવેશને દબાવી દીધો અને પોતાની ખાસિયત પ્રમાણે ખડખડાટ હસી પડતાં બોલ્યો :

‘ફિકર નહિ. કશી ફિકર નહિ. મને મોજથી દારૂડિયો કહે. મને એની લગીરે પરવા નથી. દારૂડિયા કરતાંય બીજા વધારે ખરાબ શબ્દ હોય તો એ વડે મને સંબોધો. પણ મારી આટલી યાચના તો પૂરી કરો જ. મારે ‘પ્રિયા મુખોચ્છ્‌શ્વાસ વિકમ્પિતં મધુ’ જોઈએ. તારા ઉચ્છ્‌વાસ વડે આ પ્યાલીને વિકમ્પિત કરી આપ. પછી મને દારૂડિયો કહે. વિલાસી કહે, લંપટ કહે એની મને પરવા નથી.’

રિખવની વિહ્‌વળતા વધતી જતી હતી. એની આંખ બદલતી જતી હતી. એનું અંગેઅંગ સુલેખાની કૃપાદષ્ટિ યાચી રહ્યું હતું પણ સુલેખા પાસેથી કૃપાદૃષ્ટિને બદલે કશું જુદું જ મળવાનું રિખવનાં ભાગ્યમાં લખાયું હતું.

‘રિખવ, આ તારી રસિકતા નથી કોક વિકૃતિ છે.’ સુલેખાએ કહ્યું.

રિખવનો ડોળો લાલ થયો. સુલેખા આટલું બેધડક બોલી નાખશે એમ એણે નહોતું ધાર્યું. પોતે એનો કશો ઉત્તર આપે એ પહેલાં તો સુલેખાએ જ આગળ ચલાવ્યું :

‘મેં કલ્પેલી રસમૂર્તિ આવું નર્યા વિલાસનું પૂતળું હશે એવી મને ખબર નહોતી…’

રિખવનો રોષ ક્યારનો ધૂંધવાતો હતો, એમાં સુલેખા એક પછી એક ઓબાર ભર્યે જતી હતી. હવે એમાં ભડકો પેટાવવા માટે એક જોરદાર ફૂંકની જ જરૂર હતી.

રિખવે હળવા ગુસ્સાથી કહ્યું : ‘વિલાસીપણાની આટલી સૂગ