પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
વ્યાજનો વારસ
 



એ… જી બતરીસ–હથ્થો નર જાગશે…
એનું ખાંડુ હાથ અઢાર,
બાર મણની કમાનું ચડાવશે…
એનાં બેડાં ભરાસે બાર.

પણ હવે રિખવ શેઠ શુદ્ધિ ગુમાવી બેઠા હતા. કોઈ પલટન કૂચ કરતી હોય એવા તાલબદ્ધ પગલે થતી કૂચનો અને નજીક આવી રહેલ ભજન–ગાનનો અવાજ સંભળાવની એમણે શુદ્ધિ નહોતી રહી. માત્ર બેભાન અવસ્થામાં પાણીના પોકાર સિવાય બીજું કશું બોલવાના એમને હોંશ નહોતા. સાધુઓની જમાત સાવ નજદીક આવી ગઈ હતી, આરાધનું ગાન આગળ વધતું હતું :

એ… જી… જૂનાણે જાંગીડા વાગશે
વાગે ત્રંબાળુ નિશાન;
એ… જી… સાયબો પરણે સુંદરી
પરણે રવિ ઊગમતે ભાણ.

હલકભેર ગવાતા આરાધના સંવાદી વાતાવરણમાં ક્યાંકથી વિસંવાદી સ્વર સંભળાતાં ગાયકો ચોંક્યા. ગાન થંભાવીને એ સ્વર સાંભળવા કોશિશ કરી. કણસતા આદમીનો અવાજ અછતો રહી શકે એમ નહોતો. અવાજની દિશામાં કાન માંડ્યા અને તરત જમાતની મોખરે ચાલતા બેચાર સાધુઓ ગરનાળાની બાજુએ આવીને થંભ્યા.

કણસતા ઘાયલ માણસને જોઈને સાધુઓએ અચંબો અનુભવ્યો. તરત મહંતજીને જાણ કરવામાં આવી. મ્યાનો થંભાવીને ખુદ મહંતજી નીચે ઊતરી આવ્યા અને રિખવ શેઠની નાડ તપાસી.

‘અબ તક ઝિન્દા હૈ. જલપાન કરાઓ !’ મહંતજીએ આદેશ આપ્યો.