પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોભી જતાં
૧૫૩
 

 ‘પ્રભુ, એ આવી રહેલા સર્વનાશમાંથી ઊગરવા માટે જ મેં આ પગલું લેવા ધાર્યું છે.’

‘આવી બાબતોમાં અમારાથી કશું ન કહેવાય. સંસારીઓએ યથામતિ આચરણ કરવું જોઈએ. પણ જે કાંઈ કરો એ જનકલ્યાણની ભાવનાથી જ કરજો. અને એ ન ભૂલશો કે ધનદોલત અને રિદ્ધિસિદ્ધિ ઉપરનો સારો અધિકાર જનપદનો છે. દ્રવ્યોપાર્જન પાછળ ગાંડા બનીને લોકોમાં વસેલા સનાતન બ્રહ્મને ઉવેખવાની ભૂલ કરી બેસશો મા. અઢળક ઇસ્કામત ઉપરનો સાચો વારસાહક લોકબ્રહ્મનો છે – સામાન્ય જનતાનો છે. સંપત્તિની સોંપણી માટે એ રીત જ ઔચિત્યભરી છે.’ વિમલસૂરીએ હસતાં – હસતાં ઉમેર્યું : ‘રસશાસ્ત્રમાં તેમ જ સંપત્તિશાસ્ત્રમાં ઔચિત્યનો સિદ્ધાંત સરખું જ કામ કરે છે ! સમજી ગયા ને ?… ઠીક ત્યારે ધર્મલાભ !’ કહીને રાઈ પડિકમણાનો સમય ભરાઈ ગયો હોવાથી સૂરીજી હાથમાં રજોહરણ લઈને ઊભા થઈ ગયા. મીઠું મધ જેવું હાસ્ય વેરતાં વેરતાં આભાશાને વિદાય આપી અને જીભેથી બોલવાને બદલે આંખની ભાષામાં જ સમજાવ્યું કે ‘યથામતિ જે કાંઈ સૂઝે તે જકકલ્યાણની ભાવનાથી કરવામાં કોઈ બાધ નથી; પછી તો જેવાં નસીબ !’

આટલી મૌન અનુમતિ લઈને આભાશા પુલકિત હૃદયે પાછા ફર્યા.

માનવંતીએ સાથે જઈને આભાશાને પોતાની નાની બહેન નંદન સાથે ચોરીમાં ચાર ફેરા ફેરવી દીધા.

*