પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




[૨૧]


આજાર આભાશા

ખાટલે પડ્યા પડ્યા પણ આભાશાના જીવને જરાય શાંતિ નથી. નવી અને જૂની વચ્ચેના હરહંમેશના લોહીઉકાળા તો ચાલુ જ હતા, એમાં વળી પોતાની ઘસાતી જતી કાયાએ ચિંતાનો ઉમેરો કર્યો. પોતાની હયાતી દરમિયાન જ જે કુટુંબ – વેલ વેરવિખેર બની ગઈ છે, એની પોતાની હયાતી બાદ તો કોણ જાણે શીય દશા થશે એ સંતાપ આભાશાને સતાવી રહ્યો હતો.

મોટામાં મોટી ચિંતા તો પોતાની છૂટીછવાઈ મિલકતની વ્યવસ્થા કરવાની હતી. પેઢીનો કારભાર પોતાના હાથમાં આવ્યા પછી આભાશાએ પરચૂરણ ધીરધાર અને વ્યાજવટાવની પ્રવૃત્તિ બહુ વિકસાવી મૂકી હતી. અને એમાંય ચતરભજે તો એ ધીરધાર ઉજળિયાત વર્ગના આસામીઓ પૂરતી જ ન રહેવા દેતાં કાંટિયાં વરણમાં પણ વિસ્તારી હતી. પરિણામે, અલબત્ત, વ્યાજની આવક ઘણી વધી ગઈ. પણ એ વ્યાજની વસૂલાત પાછળની માથાકૂટ અને મહેનત તો અનેકગણી વધી ગઈ હતી. એ તો વળી ચતરભજ જેવો અકડલકડિયો મુનીમ હતો એટલે આભાશાને પેઢીની વ્યવસ્થામાં જરાય મહેનત ન પડતી; પણ હમણાં હમણાં તો એ વિશ્વાસુ મુનીમ પણ ફરી બેઠો હોય એવું આભાશા અનુભવી રહ્યા હતા. ચતરભજ કાંઈક ભેદનીતિ રચી રહ્યો છે એમ એના વલણ ઉપરથી આભાશા ખાટલે પડ્યા પડ્યા પણ પામી ગયા હતા.

જ્યારથી પેઢીએ પરચૂરણ ધીરધારો વધારી ત્યારથી વ્યાજ