પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લોઢાનાં કાળજાં
૧૮૫
 

 ‘તો તો મારા દલિયાને નામે રાતી પાઈ પણ વીલમાં નહિ ચડાવે.’ અમરત ગળગળી થતી બોલી.

‘અરે ઓલી સુલેખડી તો દલિયાને હાથમાં શકોરું આપીને તગડી મેલશે આ ઘરમાંથી....’

‘માના જણ્યા સગા ભાઈને આ બેનનું પેટમાં ન બળ્યું તો પછી એ પારકી જણી તો એમ કરે જ, એમાં શી નવાઈ ? એનો ધોખો કરવો પણ શા કામનો ?…’ અમરતનો અવાજ રડવા જેવો થતો ગયો.

થોડી વાર મૂંગી રહીને એણે પૂછ્યું : ‘હવે આમાંથી કોઈ ઉગારો બતાવીશ, ચતરભજ ?’

‘હજીય અવસર ચૂક્યા મેહુલા જેવું કાંઈ નથી થ્યું...’ ચતરભજે આશા આપી.

‘કાંઈક રસ્તો સુઝાડ તો તારા જેવો ભલો ભગવાનેય નહિ....’

‘તમારામાં આવડત જોઈએ. લશ્કરી શેઠ ને સુલેખા બેય હાથ ખંખેરતાં ઊભાં રિયે...’

‘કેવી રીતે પણ ?’

‘રીત ને બીત. હજી વીલ થાતાં વાર લાગશે. એ પહેલાં તમે ઘૂંટડો પાઈ દિયો તો ખેલ ખતમ.’ ચતરભજે બન્ને હાથની ચાપટ વગાડીને ‘ખતમ’નો અભિનય કરી બતાવ્યો.

‘ઠીક, હવે થઈ ગ્યું એમ સમજી લેજે.’ અમરતે કહ્યું.

ચતરભજે વિચાર્યું કે હવે અમરતને બરોબર ચાનક ચડી છે. એણે પોતાનું કામ પાકું કરવા હજી વાત લંબાવી. બોલ્યો :

‘એ તો મોઢેથી બોલો એટલું જ. આવાં કામ કરવા સારુ તો લોઢાનાં કાળજાં જોઈએ લોઢાનાં.’

‘ચતરભજ, મારું કાળજું લોઢાનું જ છે. પણ તું તો મારો સાવ કાંકરો જ કાઢી નાખતો લાગે છે.’

‘હાથે કરીને કઢાવો છો.’